ખંભાળિયામાં રસ્તે રઝળતા આખલાઓના ત્રાસથી નગરજનોમાં રોષ

જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રસ્તે રઝળતા આખલાઓ તથા નધણીયાતા ઢોરના ત્રાસએ માઝા મૂકી છે

ખંભાળિયા શહેરમાં સુપર માર્કેટ વિસ્તાર નજીક આજરોજ બપોરે બે આખલાઓ વચ્ચેના યુદ્ધે ઘમાસાણ મચાવતા નજીકથી પસાર થતી મોટરસાયકલ પર સવાર પરિવારને આખલાની ઢિંકે ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઉપરાંત મોટરસાયકલ તેમજ નજીક રહેલી એક મોટરકારને પણ નુકશાની થવા પામી હતી.આ પછી સુપર માર્કેટના વેપારીઓ દ્વારા એકઠા થઈ, આખલાઓને છુટા પાડવામાં આવ્યા હતા. આ આખલા યુદ્ધના કારણે થોડો સમય આ વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો.

શહેરના વધતા જતા રખડુ ઢોરના ત્રાસથી અગાઉ પણ અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ ઉપરાંત કેટલાક ચોક્કસ વિસ્તારોમાં શેરીના રખડુ કુતરાઓનો આતંક પણ શિરદર્દ સમાન હોવાથી તંત્ર દ્વારા આ મહત્વના મુદ્દે તાત્કાલિક પગલાં લઈ, આખલાઓને પાંજરે પૂરવા સહિતની કામગીરી કરવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.