કોરોના સામેની લડાઈમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રશાસનની નોંધપાત્ર કામગીરી

જિલ્લામાં સાત સ્થળોએ કુલ 4.63 મેટ્રીક ટનની ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત –

૧૫ થી ૧૮ વર્ષના બાળકોમાં રસીકરણમાં જિલ્લો રાજ્યમાં પ્રથમ –

(કુંજન રાડિયા દ્વારા)

જામખંભાળિયા : સમગ્ર વિશ્વને ભારત સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે આ વૈશ્વિક મહામારી સામે પ્રજાજનોને કોઈ પણ જાતની અગવડ કે મુશ્કેલી ન અનુભવવી પડે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓએ કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સતત નિષ્ઠાપૂર્વક તેમની ફરજ અદા કરી હતી.

ગુજરાતમાં પહેલો કોરોના પોઝીટીવ કેસ આવ્યો ત્યારથી દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર પોતાના નાગરિકોને રક્ષણ પુરૂ પાડવાના પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે તેવા સમયે પણ લોકોને કોરોનાના સંભવિત સંકટ સામે રક્ષણ પુરૂ પાડવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાવાસીઓના આરોગ્યની જાળવણી માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે.

કોરોનાની આ મહામારી સમયે નાગરીકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે પણ રાજયમાં વાઈરસનું સંક્રમણ ફેલાતું અટકે અને સમગ્ર રાજ્ય આ વાયરસથી મુક્ત બને તે માટે કટીબધ્ધ બનીને કામગીરી કરવામાં આવે છે. આ માટેના કડક પગલાઓ હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે સર્વત્ર રસીકરણ ઝૂંબેશ અંતર્ગત લોકોને કોરોના સામે રક્ષાકવચ પુરુ પાડવામાં આવી રહ્યું છે.કોરોનાના ઉદ્ભવથી આજદીન સુધીમાં લગભગ બે વર્ષના સમયગાળામાં આ વાયરસ સબંધિત વિવિધ માહિતી ઉપલબ્ધ બની હોવાથી કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા જરૂરી આયોજન પણ કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકામાં પ્રથમ લહેરની શરૂઆતથી તારીખ 9 જાન્યુઆરી, 2022 સુધીમાં કુલ 2.45 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે. તેની સાથે કેસોમાં વધારો થાય તો નાગરીકોને ઝડપથી સઘન સારવાર ઉપલબ્ધ બનાવી શકાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પુરતી તૈયારી પણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લામાં કુલ 23 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 5 અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કાર્યરત કુલ 300 જેટલી ડોકટર્સ અને પેરામેડીકલની ટીમ જિલ્લાવાસીઓના આરોગ્યની સેવા માટે કામગીરી કરી રહી છે.

જિલ્લામાં કુલ 550 આશાવર્કર, 40 મેડીકલ ઓફીસર, 84 નર્સ, 370 પેરા મેડીકલ સ્ટાફ, 35 લેબ ટેકનીશ્યન અને 860 સ્વયંસેવકોને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કોરોના અન્વયે તાલીમ પણ આપવામાં આવી છે.કોરોનાની ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે ડેડીકેટેડ કોવિડ જનરલ હોસ્પિટલ ખાતે 300 બેડની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. જેમાં 255 બેડ ઓક્સીજન ફેસીલીટી તથા 45 બેડ વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ધરાવે છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન અહીં કુલ 2,912 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જે તમામ દર્દીઓ સાજા થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં અન્ય ત્રણ પ્રાઈવેટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં પણ 59 આઈસોલેશન બેડ, 50 ઓક્સીજન ફેસીલીટી બેડ અને ચાર બેડ વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. જિલ્લામાં કુલ નવ કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરાયા છે, જેમાં કુલ 332 આઈસોલેશન બેડ અને 280 ઓક્સીજન ફેસીલીટી બેડની સુવિધા છે. ગ્રામ્યકક્ષાએ કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લાના 270 જેટલા ગામોમા કુલ 1,401 બેડની વ્યવસ્થા ધરાવતા કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોવિડ પોઝીટીવ – એસિમ્પટોમેટીક આવેલા કુલ 754 જેટલા દર્દીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા હતા.

સંભવિત કોરોનાની ત્રીજી લહેર દરમ્યાન પ્રજાજનોને પ્રાણવાયુની ખુટ ન પડે તે માટે જિલ્લામાં અહીંની જનરલ હોસ્પિટલ ઉપરાંત દ્વારકા, ખંભાળિયા, ભાણવડ અને રાવલ ખાતે 170, 500 અને 1,000 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવતા કુલ સાત પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જે કુલ મળીને 4.63 મેટ્રીક ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે મેનીફોલ્ડના માધ્યમથી 18 ઓક્સીજન સીલીન્ડર ચલાવી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. તેમજ દસ હજાર લીટરની ક્ષમતા ધરાવતા ઓક્સીજન સ્ટોરેજ ટેંક પણ શરૂ કરવામાં આવી છે.

કોરોના મહામારી સામે રસીકરણ એ એક રક્ષાકવચ સાબિત થયું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજનબધ્ધ રસીકરણ ઝૂંબેશ અંતર્ગત હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈવ વોરીયર્સ, 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરીકોના રસીકરણ બાદ અને હવે 15 થી 18 વર્ષના બાળકોનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 101.73 ટકા હેલ્થ કેર વર્કર્સને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 99.96 ટકાને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15.953 ફ્રન્ટ લાઈન વોરીયર્સને 100.67 ટકા સિદ્ધિ સાથે રસીનો પ્રથમ ડોઝ જ્યારે 98.92 ટકાને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા જિલ્લાના કુલ 5,77,387 નાગરીકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 5,06,221 નાગરીકોને રસીનો બીજો ડોઝ આપીને 97.57 ટકા રસીકરણની કામગીરી કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગના સંકલનમાં રહી જિલ્લા આરોગ્ય વિભાગે ગણતરીના દિવસોમાં જ 15 થી 18 વર્ષની ઉંમરના કુલ 27,616 બાળકોના રસીકરણની કામગીરી કરી છે, જેમાં 72.47 ટકા રસીકરણ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે.

પ્રશાસન દ્વારા જિલ્લાવાસીઓને આરોગ્યલક્ષી સેવાઓ જરૂરીયાતના સમયે તાત્કાલિક મળી રહે તે માટે 29 પ્રાઈવેટ એમ્બ્યુલન્સ, 24 સરકારી એમ્બ્યુલન્સ અને 11 ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સતત ખડપગે ઉપલબ્ધ બનાવાઈ છે. જેમાં 38 એમ્બ્યુલન્સ ઓક્સીજન બોટલની સુવિધાભર છે. જ્યારે બાકીની 26 અન્ય સેવાઓ માટે સતત કાર્યસત રહેશે. આ ઉપરાંત ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે એક આર.ટી.- પી.સી.આર. લેબ પણ કાર્યરત કરાઈ છે. જેમાં દરરોજ આશરે 700 થી 800 ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે દ્વારકા ખાતે પણ એક આર.ટી.- પી.સી.આર. લેબની કામગીરી ચાલી રહી છે.

લોકોને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે 20 જેટલા ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી જિલ્લામાં અત્યાર સુધીમાં 3.34 લાખથી વધુ લોકોનું સ્ક્રીનીંગ અને 4.05 લાખ જેટલા આર્યુવેદિક ઉકાળાના ડોઝ અને 2.30 લાખ જેટલા લોકોને સમશમનીવટીનું વિતરણ કરવામાં આવ્યું છે. બાળકો, યુવાનો અને વૃધ્ધોમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધે તે માટે 4.30 લાખ જેટલી આર્સેનિક આલ્બમ – 30 ટેબ્લેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. “ડોર ટુ ડોર” સર્વેલન્સની કામગીરી દ્વારા જિલ્લામાં 6,800 થી વધુ સગર્ભા, 1.33 લાખથી વધુ દસ વર્ષથી નાના બાળકો, 58,900થી વધારે પાંસઠ વર્ષથી ઉપરના નાગરીકો અને સોળ હજારથી વધુ કોમોર્બીડ કંડીશન વાળા બાળકોનું દર મહિને બે-બે વખત સર્વે કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઉકાળા અને આયુર્વેદીક દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

આમ, કોરોનાની દહેશત વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ વહિવટી વડા અને કલેક્ટર એમ.એ. પંડ્યા અને પ્રભારી સચિવ ડી.જી. પટેલના માર્ગદર્શન હેઠળ સબંધિત વિભાગો ખભેખભો મિલાવીને કામગીરી કરી રહ્યા છે. આ અધિકારી-કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ લોકોના આરોગ્યના રક્ષણ માટે પોતાના આરોગ્યને જોખમમાં મુકીને પણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. જે કાબિલે-દાદ બની રહી છે.