દ્વારિકામાં કોરોના મૃતકોના મોક્ષાર્થે સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ

251 પરિવારો દ્વારા પોથી નોંધાવી આ ભાગવત સપ્તાહના યજમાન બન્યા : સૌરાષ્ટ્રભરના સાધુ-સંત, રાજકીય, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ
દ્વારિકામાં સુદામા ચરિત્ર વાંચવાનો મોકો મળ્યો એ મારું અહોભાગ્ય છે- ભાગવતાચાર્ય “બાપજી”

જામ ખંભાળિયા : કોરોનાકાળમાં મૃત્યુ પામેલા મૃતકોના મોક્ષાર્થે મોક્ષનગરી દ્વારકા યોજાયેલ સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ ભાવભરી રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ ભાગવત સપ્તાહની વિશેષતા એ રહી કે કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારોએ માત્ર 101 રૂપિયા અર્પણ કરી પોથી નોંધાવી પોતાના સ્વજન પાછળ ભાગવત સપ્તાહ કરવાનું ભગીરથ કાર્ય કર્યાનો આહલાદક લ્હાવો લીધો હતો. આ ભાગવત સપ્તાહમાં એક પોથી ખાસ ધ્યાન દોરનાર રહી દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં 714 જેટલા ખેડૂતો શહીદ થયા એ ખેડૂતોના આત્માને મોક્ષ મળે તે બાબતે ખાસ પોથી મોકવામાં આવી હતી.પોથી નોંધાવનાર દરેક પરિવાર અને તેમના સગા વ્હાલાઓ જેટલા લોકો દ્વારકા આવે તેમને રહેવા જમવાની તમામ વ્યવસ્થા પાલભાઈ આંબલિયા, વિજયભાઈ રાજ્યગુરુ અને આખી આયોજક સમિતિએ કરી હતી.

આ ભાગવત સપ્તાહમાં 251 પરિવારોએ સાથે મળી 251 સભ્યોનો એક પરિવાર હોય તેમ તમામ કામો સમૂહ ભાવનાથી કરતા હતા. ભાગવત સપ્તાહમાં આ પરિવારો, પાલભાઈ આંબલિયા, વિજયભાઈ રાજ્યગુરુ સહિતના આયોજકો, ભાગવતાચાર્ય મગનભાઈ રાજ્યગુરુ ખુદ બપોરે અને સાંજે મહેમાનોને પીરસતા નજરે પડ્યા હતા. કોરોનાની પરિસ્થિતિ ગંભીર થતા આયોજકો દ્વારા સેનિટાઇઝર, માસ્ક, અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે સંપૂર્ણપણે સભાનતા રાખવામાં આવી હતી. દરેક વૈષ્ણવ જાતે જ કોરોના ગાઈડ લાઇનનું પાલન કરતા જોવા મળ્યા હતા.

ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાગવતાચાર્ય પૂજ્ય મગનભાઈ રાજ્યગુરુ “બાપજી” ના મુખેથી અષ્ખલિત પ્રવાહ સ્વરૂપે પીરસવામાં આવતા ભાગવત જ્ઞાનમાં ભાવિકો તરબોળ થઈ ભાવવિભોર થતા જોવા મળ્યા હતા. ભાગવતાચાર્યએ આ સર્વ જ્ઞાતિ ભાગવત સપ્તાહ બાબતે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે- “મારી જિંદગીની આ 239 મી ભાગવત સપ્તાહ હતી. મેં માનસરોવર પર બે ભાગવત સપ્તાહ કરી છે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં ભાગવત સપ્તાહ કરી છે. એ બધામાંથી આ સર્વ શ્રેષ્ઠ ભાગવત સપ્તાહ છે. હું આ ભાગવત સપ્તાહને સર્વ શ્રેષ્ઠ એટલા માટે કહું છું કે આ ભાગવત સપ્તાહ નિઃસ્વાર્થભાવે કરવામાં આવી છે. સાત દિવસમાં દુઃખિયા 251 પરિવારોનો એક પરિવાર બની ગયો. આ પરિવારો આવ્યા ત્યારે દુઃખી હતા, પણ વિદાય લીધી ત્યારે હરખના આંશુ સાથે વિદાય લેતા અને આખી આયોજક ટીમને અઢળક આશીર્વાદ આપતા મેં આ ભાગવત સપ્તાહમાં જોયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના સ્વજન પાછળ ભાગવત સપ્તાહ બેસાડે, પોતાના કુટુંબીઓઓના કલ્યાણાર્થે ભાગવત સપ્તાહ બેસાડે, પોતાની જ્ઞાતિ-જાતિની સુખ શાંતિ માટે ભાગવત સપ્તાહ બેસાડે. પણ મેં આ એવી પહેલી ભાગવત સપ્તાહ જોઈ કે ગરીબ માટે, વંચિત માટે, દુઃખી પરિવારો માટે જાણે માનવજાતિના કલ્યાણાર્થે ભાગવત સપ્તાહ થઈ હોય એવું મને મહેસુસ થયું છેલ્લા દિવસે વિદાય લેતા પરિવારોને મળતી વખતે હું પોતે પણ ભાવ વિભોર બની ગયો હોઉં એવી આ પહેલી ભાગવત સપ્તાહ છે.

સુદામા ચરિત્ર વાંચતી વખતે દ્વારિકા, કૃષ્ણ- સુદામાની દોસ્તીનું વર્ણન કરતા પોતે ભાવ વિભોર બની ગયા હતા અને કહ્યું હતું કે “એક બ્રાહ્મણ તરીકે દ્વારિકામાં સુદામા ચરિત્ર વાંચવા મળ્યું એ મારા અહોભાગ્ય છે”

આ ભાગવત સપ્તાહમાં કોરોના કાળમાં જેણે પોતાના સ્વજન ગુમાવ્યા એવા અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ સમાજના અલગ અલગ અલગ અલગ ગામ, તાલુકા જિલ્લા જ નહીં પણ અલગ અલગ રાજ્યોના લોકો અને છેક અમેરિકા ફ્લોરિડાથી એમ મળી કુલ 251 પરિવારોએ આ ભાગવત સપ્તાહમાં પોથી નોંધાવી સર્વ જ્ઞાતિ સમૂહ ભાગવત સપ્તાહના યજમાન બન્યા છે. સાથે કોરોનાકાળમાં જ દિલ્હીની બોર્ડર પર ખેડૂત આંદોલન થયું જેમાં 714 થી વધારે ખેડૂતો શહીદ થયા તેના મોક્ષાર્થે પણ મુખ્ય પોથી મુકવામાં આવી હતી.

ગત તારીખ 3 જાન્યુઆરીથી શરૂ થયેલી આ ભાગવત સપ્તાહના બીજા દિવસે સોરઠીયા આહીર સમાજના મુખ્ય ગાદીપતિ પરમ પૂજ્ય સંત જીવણનાથ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પછી અખિલ ભારતીય સાધુ સમાજ અખાડાના પ્રમુખ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, આંતરરાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય હરિહરાનંદ બાપુ, ભારતી આશ્રમ જૂનાગઢની પ્રેરણાદાયી ઉપસ્થિતિ, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત પૂજ્ય ગોવિંદ સ્વામી આશીર્વચન વૈષ્ણવોને મળ્યા હતા. સાથે સાથે અલગ અલગ સમાજના ભુવાઆતાની સવિષેશ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે ગુજરાતભરના ખેડૂત આગેવાનો સહિત દ્વારકા શહેરના દરેક સમાજના આગેવાનો, સામાજિક આગેવાનોનું સન્માન અને તેમના દ્વારા આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ ભાગવત સપ્તાહમાં દરરોજ અલગ અલગ મહોત્સવો પણ ઉજવવામાં આવતા હતા. કપિલ પ્રાગટ્ય, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, નંદ મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, પરિક્ષિત મોક્ષ, સુદામા મિલાપ જેવા મહોત્સવ ઉજવવામાં આવ્યા હતા. જામ જોધપુરની બાળાઓ દ્વારા “માં બાપને ભૂલશો નહિ સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. મુંબઈના “ઓ કાન્હા ગ્રૂપ દ્વારા દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે જુદા જુદા કલાકારોએ સંતવાણી-ડાયરાની જમાવટ કરી હતી. આ સાથે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં કોરોના વોરિયર્સ તરીકે 108 એમ્બ્યુલન્સના પાઇલોટ અને સાથે રહેનાર ડોક્ટરનું, પોલીસ, આશા વર્કર સહિતના કોરોના વોરિયર્સનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

ભાગવત સપ્તાહના સમાપન સમયે પાલભાઈ આંબલિયા, વિજયભાઈ રાજ્યગુરુ, સહિતના તમામ આયોજક ટિમ દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો.