ખંભાળિયા રેડક્રોસ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

જામ ખંભાળિયા : ખંભાળિયાની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંસ્થા દ્વારા તાજેતરમાં અહીંની જાણીતી ધાર્મીક સંસ્થા ગાયત્રી ગરબા મંડળના આર્થિક સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. જેમાં 121 બોટલ 36,300 સી.સી. રક્ત એકત્ર થયું હતું.

આ કેમ્પમાં સંસ્થાના શ્રેયસ મજીઠીયા, મિલન સાયાણી તથા મૌલિક વાયાએ સપરિવાર રકતદાન કરી, સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તમામ રક્તદાતાઓને ગાયત્રી ગરબા મંડળ અને રેડક્રોસ દ્વારા કુલ બે વસ્તુઓ સ્મૃતિ ભેટ તરીકે આપવામાં આવી હતી.

આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ડીસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટ મજીઠીયા, મિલન સાયાણી, હાડાભા જામ વિગેરેએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ કેમ્પને સફળ બનાવવા બદલ રક્તદાતાઓનો સંસ્થાઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.