દારૂ પીવાને કુટેવ ધરાવતા દ્વારકાના યુવાને આપઘાત કર્યો

જામખંભાળીયા : દ્વારકા ટી.વી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાજુભા જેઠાભા માણેક નામના 42 વર્ષના યુવાને રાત્રિના સમયે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી રૂમની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના સાળા દ્વારકાના અંબુજાનગર વિસ્તારમાં આવેલી તીર્થ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા માનભા ગજુભા કેર નામના 45 વર્ષના યુવાને દ્વારકા પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક રાજુભા માણેકને છેલ્લા ઘણા સમયથી ખૂબ જ દારૂ પીવાની ટેવ હોવાથી બારેક દિવસ પહેલાં તેમને પેટની વિવિધ બીમારીઓના કારણે હોસ્પિટલમાં લઇ જતા તેમની તબીબી તપાસમાં તેમના લીવરમાં સોજો હોવાથી ડોક્ટરે તેમણે દારૂ ન પીવાની સૂચના આપી હતી. આથી તેમના પરિવારજનોએ રાજુભાને દારૂ મૂકી દેવાનું કહી તેના સાળા માનભા કેર તેમને પોતાના ઘરે લઈ આવ્યા હતા. જ્યાં તેમને ત્રણેક દિવસથી દારૂ મળ્યો ન હોવાથી આ બાબતે કંટાળીને રાત્રિના સમયે એપાર્ટમેન્ટના ત્રીજાથી પડતું મૂકીને જિંદગી ટૂંકાવી લીધી હતી.આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.