નંદાણાની પરિણીતાઓને ત્રાસ આપી, મારી નાખવાની ધમકી સબબ બે ફરિયાદ

જામખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘરેલુ હિંસાના બે અલગ અલગ બનાવમાં પરિણીતાને ત્રાસ આપવામાં આવતા બે ફરિયાદો નોંધાઈ છે.

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે હાલ રહેતી અને મેપાભાઈ પીઠાભાઈ મકવાણાની 24 વર્ષની પુત્રી સવિતાબેન મનસુખભાઈ ચાવડાને તેણીના પતિ મનસુખભાઈ જેઠાભાઈ ચાવડા દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન અવારનવાર શારિરીક તથા માનસિક ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ બનાવ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં સવિતાબેનની ફરિયાદ પરથી મનસુખભાઈ ચાવડા સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય એક ફરિયાદમાં નંદાણાના મેપાભાઈ પીઠાભાઈ મકવાણાની 23 વર્ષની પુત્રી દેવીબેન મેરુભાઈ ચાવડાને તેણીના લગ્નજીવનના ત્રણેક વર્ષ બાદના સમયથી સુઈનેશ ગામે રહેતા તેણીના પતિ મેરુ જેઠાભાઈ ચાવડા દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ બનાવ અંગે મેરુ જેઠા ચાવડા સામે પણ વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.