દેવભૂમિ દ્વારકામાં કોરોના સંક્રમિત વિસ્તારોમાં કાન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના અનેક કેસ નોંધાયા છે. જે અન્વયે ખંભાળિયા તાલુકામાં શારદા સિનેમા રોડ, કુમાર ઢોસાવાળાની બાજુમાં, ઠાકર શેરડી ગામે મધુવન સ્કુલ સામે વાડી વિસ્તાર અને ભાણવડ તાલુકામાં ભાણેશ્વર મંદીર પાસે, પોલીસ લાઈન પાછળનો વિસ્તાર, મેસાવા રોડ –વાડી વિસ્તાર, હરસિધ્ધી નગર, રામેશ્વર પ્લોટ, ગરાસ વાડી વિસ્તાર, ધાંચી શેરી, પટેલનગર – એસ.ટી.પાછળ, મોટું ફળી-સઈ દેવળીયા વિસ્તાર તેમજ દ્વારકા તાલુકામાં બહુમાળી બિલ્ડીંગ- વિરમેશ્વર, મહેશ્વરી પાન પાસે-અંબુજાનગર, મહેશ્વરી ભવનની બાજૂમાં- આદિત્યરોડ અને ત્રણ માળીયા- વ્રજધામ વિસ્તારમાં કુલ સોળ ઘરોમાં કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા તેના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા મારફતે કેટલાક પ્રતિબંધો મૂક્યા છે.

આ જાહેરનામાં અન્વયે ઉપરોક્ત વિસ્તારને કાન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવી છે. આ વિસ્તારમાં આવશ્યક સેવાઓ અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ તથા તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃતિ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર આરોગ્ય વિભાગની ગાઈડલાઈન એસ.ઓ.પી. અનુસાર આરોગ્ય ટીમ દ્વારા સો ટકા થર્મલ સ્ક્રીનીં, કોન્ટેક્ટ ટ્રેસીંગ, હાઈસ-ટુ-હાઉસ સર્વેલન્સ કરવાનું રહેશે અને સબંધિત પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા આ સિવાય અન્ય તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરી આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. કન્ટેનમેન્ટ જાહેર કરેલા વિસ્તારમાંથી મેડીકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજ વસ્તુઓની સપ્લાય સાથે સંકળાયેલ પાસ ઘારકો સિવાય કોઈ પણ વ્યક્તિ બહાર અવર-જવર કરી શકશે નહીં.

આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા વિસ્તારમાં કાન્ટેનમેન્ટ ઝોન પ્લાનની ગાઈડલાઈન અને આ જાહેરનામાની અમલવારી તા. 25 જાન્યુઆરી સુધી કરવાની રહેશે.