એ કાપ્યો છે… ખંભાળિયા પંથકના લોકોએ મનભરીને માણ્યો પતંગોત્સવ

ઊંધિયા-ખીચડાની જહેમત માણતા નગરજનો

જામ ખંભાળિયા : ઉમંગ ઉત્સાહના પર્વ મકરસંક્રાંતિને ગઈકાલે ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારના લોકોએ મન ભરીને માણ્યો હતો. ઉતરાયણ નિમિત્તે લોકોએ પતંગ ઉડાડવા, દાન પુણ્ય કરવા, તેમજ મિત્રો- પરિવારજનો સાથે આનંદભેર સમય પસાર કરી, આ પર્વને ઉજવ્યો હતો.

કોરોનાની મહામારીની ચિંતા છોડી, ખંભાળિયા પંથકના લોકોએ મકરસંક્રાંતિને મન ભરીને માણવા ગુરુવારે જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ગઇકાલે શુક્રવારે ઉતરાયણ પર્વે લોકો સવારે ધાબા અગાશી ઉપર ચડી ગયા હતા. સવારથી વીજ વિક્ષેપ વચ્ચે ખાસ કરીને યુવાનો, બાળકોએ “એ કાઇપો છે”- ની ચિચિયારીઓ વચ્ચે પિપુડાઓ વગાડીને આનંદ વ્યક્ત કર્યો હતો.

ગઈકાલે દિવસ દરમિયાન મહદ અંશે પવનનું જોર માફકસર રહેતા પતંગ રસિયાઓએ મન ભરીને પતંગ ઉડાડવાની મોજ માણી હતી. ઢળતી સાંજે નગરજનોએ ફટાકડા ફોડી, તુક્કલ પણ ઉડાડ્યા હતા.

મકર સંક્રાત નિમિત્તે ઊંધિયું ખાવું એ હવે લોકોમાં જાણે પરંપરા બની ગઈ છે. શહેરમાં આશરે 25થી 30 જેટલા દુકાનદારોએ આજરોજ સ્વાદિષ્ટ ઊંધિયું સાથે રસપાતરા અને ખાંડવી બનાવ્યા હતા. જેનો સ્ટોક મોટાભાગે બપોરે જ ખલાસ થઇ ગયો હતો. આમ શહેરમાં આશરે ત્રણ હજાર કિલો જેટલું ઊંધિયું લોકો આરોગી ગયા હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ ગઈકાલે શહેરમાં મોટાભાગના લોકોએ ઊંધિયા- ખીચડાની જયાફત માણી હતી.

ઉમંગ સાથે દાન-પુણ્યનું અનેરૂ મહાત્મ્ય ધરાવતા ઉતરાયણ પર્વના આ દિવસે ગઇકાલે શુક્રવારે લોકોએ ખાસ કરીને ગાયો સહિતના અબોલ પશુઓ ઉપરાંત પક્ષીઓ તેમજ ગરીબોને યોગ્ય ખોરાક તથા દાન આપી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારોમા લોકોએ ઝૂપડપટ્ટીના બાળકોને પતંગ, ફિરકી તેમજ ચીકીનું વિતરણ પણ કર્યું હતું.