ખંભાળિયા નજીક પુરપાટ જતી બસની અડફેટે બાઈક સવાર યુવાનનું કરુણ મોત

અકસ્માત સર્જી, બસ ચાલક ફરાર: પોલીસ દ્વારા કાર્યવાહી –

જામ ખંભાળિયા : ખંભાળિયા – દ્વારકા માર્ગ પર આજે સવારે પુરપાટ જતી એક ખાનગી કંપનીની બસના ચાલકે એક બાઈકને અડફેટે લેતાં તેના પર જઈ રહેલા એક ભરવાડ યુવાનનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે સોળ કિલોમીટર દૂર આવેલા કુવાડિયા ગામે રહેતા હમીરભાઈ ભીખાભાઈ ભરવાડ નામના આશરે 50 વર્ષના યુવાન આજરોજ શુક્રવારે સવારે આશરે આઠેક વાગ્યે કુવાડીયા ગામના પાટિયા પાસે પોતાના મોટરસાયકલ પર હતા, ત્યારે આ માર્ગ પરથી દ્વારકા તરફ પસાર થતી અને જી. આર. ઇન્ફ્રા કંપનીમાં ચાલતી ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે હમીરભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલાં હમીરભાઈ ભરવાડનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

આ બનાવ બનતા અહીંના પી.આઈ. ખુશ્બુબેન યાજ્ઞિક તથા સ્ટાફ અને ગામના રહીશો હોસ્પિટલે પહોંચી ગયા હતા. આ ગંભીર અકસ્માત સર્જી આરોપી બસનો ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટતા સવારે થોડો સમય મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી, અકસ્માતની ફરિયાદ નોંધવાની તજવીજ કરી હતી. આ બનાવ અંગે મૃતકના પરિવારજનો ઘેરા શોકની લાગણી પ્રસરી છે.