ખંભાળિયા નજીક બાઈક આડે કુતરુ ઉતરતા અકસ્માત: વિપ્ર યુવાનનું મૃત્યુ

ખંભાળિયા : ખંભાળિયા- પોરબંદર હાઈ-વે પર અત્રેથી આશરે બે કી.મી. દૂર ગંગા જમના હોટલ પાસેથી જી.જે. 10 એ.એ. 0128 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર જઈ રહેલા સાગર કમલેશભાઈ ચાવડા નામના યુવાને આ માર્ગ પર બાઇક આડે કુતરુ ઉતરતા પૂરપાટ જતી બાઈક પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે આ મોટરસાયકલ પર તેમની સાથે જઈ રહેલા જનકભાઈ રાણાભાઈ અસવાર નામના 25 વર્ષના બ્રાહ્મણ યુવાન તથા સાગરભાઈ ફેંકાઈ ગયા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા જનકભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ નારણભાઈ રાણાભાઈ અસવાર (ઉ.વ. 26, રહે. ધરાનગર, આશાપુરા ચોક) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ સ્પ્લેન્ડર ચાલક સાગરભાઈ ચાવડા સામે આઈ.પી.સી. કલમ 279, 337, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.