ખંભાળિયા – ભાણવડ પંથકમાં ભેદી ધડાકાથી લોકોમાં ભયનો માહોલ ભૂકંપ ન હોવાનું તંત્ર દ્વારા જણાવાયું

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા :
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં ગતરાત્રીના ભેદી ધડાકા થયાનો અનુભવ લોકોએ કર્યો હતો.

ખંભાળિયા ઉપરાંત ભાણવડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભેદી ધડાકા સાથે મકાન ધ્રૂજતા આ અનુભવ કરેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગતરાત્રીના આશરે આઠેક વાગ્યે અહીંના કેટલાક ગામોમાં ધડાકાના અવાજ સાથે ધ્રુજારી જેવો અનુભવ લોકોએ કર્યો હોવાનું કહેવાય છે. જોકે તમામ લોકોએ આ અવાજ કે ધ્રુજારીનો અનુભવ કર્યો નથી.

આ ધડાકા અંગે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીને જાણ કરવામાં આવતા તેમની તપાસમાં આ ધડાકા ભૂકંપના આંચકાના ન હોવા ઉપરાંત સ્થાનિક રીતે કોઇ કારણોસર આ આંચકાની ધ્રુજારી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.

જો કે આ અગાઉ પણ ભાણવડ તથા ખંભાળિયામાં ભેદી ધડાકાઓ સાથે મકાનો ધુજવાના બનાવ બન્યા હતા. પરંતુ આ અંગેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.