કલ્યાણપુર નજીક કારની અડફેટે બાઈક સવાર નાના-દોહિત્ર ઘવાયા

 

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રહીશ ભરતભાઈ ભુરાદાસ અગ્રાવત નામના 55 વર્ષના રામાનંદી સાધુ પ્રૌઢ તેમના જી.જે. 10 બી.ક્યુ. 8935 નંબરના મોટરસાયકલ પર બેસીને તેમના દોહિત્ર એવા જસાપર ગામના વિનયભાઈ સાથે મીઠાપુરથી જસાપર ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે, ગુરગઢ ગામથી આગળના માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જામનગરના રહીશ હિતેશભાઈ નાથાભાઈ ધુલિયા નામના યુવાને તેની જી.જે. 10 ટી.સી. 0162 નંબરની મોટરકારનો ભરતભાઈ અગ્રાવતના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં ફરિયાદી ભરતભાઈ તથા તેમના દોહિત્ર વિનયભાઈને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે કારના ચાલક હિતેશભાઈ ધુલિયા સામે આઈ.પી.સી. કલમ 279, 337 તથા 338 મુજબ ગુનો નોંધ્યો છે.