દ્વારકા જગતમંદિરના દ્વાર ખુલતા જ ભાવિકો ભાવ વિભોર

સવારે મંગલા આરતી કરવા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : કોરોના સંક્ર્મણ વચ્ચે જગત મંદિર દ્વારકાના દ્વાર ભાવિકો માટે એક સપ્તાહ માટે બંધ થયા બાદ આજથી પુનઃ દર્શન શરુ થતા ભાવિકો ભાવ વિભોર બન્યા છે અને આજે સવારે મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

કોરોના મહામારીની ત્રીજી લહેર જેવી સ્થિતિમાં દ્વારકામાં કોરોના સંક્ર્મણ વધતા દેવસ્થાન સમિતિ દ્વારા એક સપ્તાહ સુધી જગત મંદિરનાં દ્વાર બંધ કરાયા બાદ આજથી ફરી દર્શન શરૂ થતા ભાવિક શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો ઉપરાંત દ્વારકાના ધંધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે ૬/૩૦ વાગ્યે જગત મંદિરના દ્વાર ખુલ્યા બાદ મંગલા આરતીમાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.અને ભગવાનને પ્રાથના કરી હતી કે દર્શન અર્થે ભગવાનના દ્વાર ફરી કદી બંધ ન થાય સાથે સાથે કોરોના રૂપી રોગ ઝડપથી દેશમાથી નાબૂદ થાય તે માટે પણ લોકોએ પ્રાર્થના કરી હતી.