દ્વારકા જિલ્લામાં ટેસ્ટ ઘટતાં નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો

જિલ્લામાં કોરોનાના કેસ અંગે આંકડાની માયાજાળ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા :
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ કોરોનાનું સંક્રમણ હવે ચિંતાજનક રીતે વધી રહ્યું હોય તેવા આંકડા પ્રકાશમાં આવ્યા છે. બે દિવસના સમયગાળામાં 121 નવા પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો છે.

આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે દિવસના જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ શનિવારે ભાણવડમાં 6, દ્વારકામાં 38, કલ્યાણપુરમાં 6 અને ખંભાળિયામાં 17 મળી કુલ 67 નવા કેસ નોંધાયા હતા. જ્યારે ગઈકાલે રવિવારે દ્વારકા તાલુકાના 30, ખંભાળિયા તાલુકાના 15, કલ્યાણપુર તાલુકાના 7 અને ભાણવડ તાલુકાના 2 મળીને 54 નવા કેસ નોંધાયા છે. બે દિવસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના 121 સંક્રમિતો વધ્યા છે.

વચ્ચે શનિવારે ભાણવડ તાલુકાના 19, દ્વારકા તાલુકાના 28, કલ્યાણપુર તાલુકાના 3 અને ખંભાળિયા તાલુકાના 5 મળી કુલ 55 દર્દીઓને જ્યારે ગઈકાલે રવિવારે દ્વારકા તાલુકાના 20, ખંભાળિયા તાલુકાના 11, કલ્યાણપુર તાલુકાના 7 અને ભાણવડ તાલુકાના 3 મળી, કુલ 41 દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા 48 કલાકમાં 96 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

મહત્વની બાબત એ છે કે શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા 1,036 કોરોના ટેસ્ટમાં 67 નવા દર્દીઓ નોંધાયા હતા. પરંતુ ગઈકાલે રવિવારે સમગ્ર જિલ્લામાં માત્ર 462 ટેસ્ટ કરાતા 54 નવા કેસનો ઉમેરો થયો છે. આમ, ટેસ્ટિંગ ઘટતાં આગલા દિવસની સરખામણીમાં નવા કેસ પણ ઘટયા હોવાનું ચિત્ર સ્પષ્ટ જોઈ શકાય છે. જેથી સરવાળે બે દિવસમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધ્યું હોવાનું ફલિત થાય છે.

48 કલાકમાં કુલ 1,498 ટેસ્ટ કરાતા 121 દર્દીઓ વઘ્યા છે અને 96 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે રવિવારે જિલ્લામાં નવા 54 કેસ નોંધાયા હોવાનું જાહેર થયું છે. જ્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડામાં જિલ્લામાં નવા 63 દર્દીઓ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આમ, સ્થાનિક જિલ્લા કક્ષાના તથા રાજ્ય કક્ષાના આંકડાઓમાં નવ દર્દીઓ નોંધપાત્ર ફેરફાર રહ્યો છે. જો કે ગઈકાલના ડિસ્ચાર્જના આંકડામાં કોઈ તફાવત નથી.