ખંભાળિયા નજીક ખાનગી કંપનીના કર્મચારીઓ ઉપર ધોકા વડે હુમલો

ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ ઉપર બનેલી ઘટનામાં બે અજાણ્યા સહિત ત્રણ સામે ફરિયાદ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ ઉપર આવેલી વેદાન્તા કંપની પાસેથી એક મોટરકારમાં પોતાના ઘર તરફ જઈ રહેલા કંપનીના ચાર કર્મચારીઓના વાહનને ગતરાત્રે ત્રણ શખ્સોએ અટકાવી, કોઈ કારણોસર આ કર્મચારીઓને બેફામ માર મારી, લોહી લુહાણ કરી મૂકતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ચકચારી બનાવ સંદર્ભે મૂળ બિહાર રાજ્યના ચિરાયા તાલુકાના રહીશ અને પેટા કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર સુખદેવ ઠાકુર (ઉ.વ. 27) નામના કર્મચારીએ વાડીનારના રહીશ એવા આદિલ નામના શખ્સ ઉપરાંત અન્ય બે અજાણ્યા શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી સુનિલકુમાર ઠાકુર તથા તેમની સાથે ઇલેક્ટ્રિક એન્જિનિયર સંજયકર, વિકાસ તેમજ રવીન્દ્રનાથ ગોસ્વામી નામના અધિકારીઓ ગઈકાલે ગુરૂવારે રાત્રીના આશરે આઠેક વાગ્યાના સુમારે ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર આવેલી વેદાન્તા કંપની પાસેથી તેમની નોકરીનો સમય પૂરો કરી અને જી.જે. 1 આર.એસ. 7047 નંબરનાની ઇક્કો મોટરકારમાં ખંભાળિયા પરત જઈ રહ્યા હતા.

આ વાહન ગયેન્દ્રરાજ નામનો ચાલક ચલાવી રહ્યો હતો. તેઓને વેદાન્તા કંપનીના ગેટથી થોડે આગળ અટકાવી અને વાડીનારના આદિલ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ દરવાજો ખોલી ને પૂછ્યું હતું કે “વિકાસ સાહેબ કોણ છે?”- પરંતુ એકપણ કર્મચારી એ જવાબ ન આપતા ઉશ્કેરાયેલા શખ્સોએ કારનો પાછળનો દરવાજો ખોલી અને લાકડાના ધોકા વડે કાર સવાર કર્મચારીઓને બેફામ માર મારવાનું શરૂ કરી દીધું હતું. આરોપી શખ્સોએ બિભત્સ ગાળો કાઢી અને કારના કાચ તોડી નાખ્યા હતા.

આ હુમલાના કારણે કારમાં જઈ રહેલા અધિકારી રવીન્દ્રનાથ ગોસ્વામીને લોહીલુહાણ હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને પાંચ ટાંકા આવ્યા હતા અને બંને હાથમાં ફ્રેકચર ઉપરાંત વિકાસ નામના અન્ય એક કર્મચારીને પણ ડાબા હાથમાં ફ્રેકચર સહિતની ઇજાઓ થતાં બંનેને વધુ સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ફરિયાદી સુનિલકુમાર ઠાકુર તથા સંજયકરને પણ નાની મોટી ઈજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી.

આરોપી શખ્સોએ જતાં-જતાં કહેલ કે- “ફરીવાર કંપનીમાં જતાં નહીં. નહીંતર જીવતા નહીં રહો”- તેમ કહી, અને બે મોટરસાયકલમાં ધોકા સાથે નાસી છૂટયા હતા. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 341, 427, 504, 506(2) 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.