સલાયા બંદર ઉપર બંધ રહેતી હેડલાઇટ્સ ચાલુ કરાવવા માંગ

અંધકારના લીધે માછીમારો પરેશાન : ચોરી થવાની પણ શક્યતા

(રીશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકાના સલાયા બંદર ઉપર આવેલ મોટી ત્રણ હેડલાઇટ્સ રાત્રીના ઘણા સમયથી બંધ રહેતી હોવાથી રાત્રીના સમયે આવતા માછીમારો પરેશાન થઇ રહ્યા છે. તેમજ અંધકારના લીધે ચોરી થવાની પણ શક્યતા વધી જાય છે. તો તુરંત હેડલાઇટ્સ ચાલુ કરાવવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

દેવભૂમિ દ્વારકાના જામ સલાયા બંદર ઉપર આવેલ ત્રણ મોટી હેડલાઇટ્સ ઘણા સમયથી બંધ પડેલ છે. રાત્રીના બોટ ઉપર આવતા-જતા માછીમાર ભાઈઓને પણ અંધારાના લીધે તકલીફ પડે છે. રાત્રીના સમયે બંદર ઉપર સંપૂર્ણ અંધકાર છવાયેલ હોય છે. આ અંધકારના લીધે ત્યાં બોટમાં ચોરી થવાનો પણ ભય રહે છે. તેમજ કોઈ અસામાજિક તત્વો અંધકારનો લાભ ઉઠાવે એ પહેલા તુરંત ગુજરાત મેરીટ ટાઇમ બોર્ડએ તસ્દી લઈ આ લાઈટો ચાલુ કરાવવી જોઈએ, તેવી લોકોમાં માંગ ઉઠી છે.