ખંભાળિયા પાલિકાની કારોબારી કમિટિની બેઠક શુક્રવારે યોજાશે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા નગર પાલિકાની કારોબારી કમિટિની બેઠક આગામી શુક્રવાર તારીખ 4 ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગ્યે યોજવામાં આવી છે. નગર પાલિકાના કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ એજન્ડામાં લેવામાં આવ્યા છે.

જેમાં મહત્વના એવા શહેરમાં પાલિકાની માલિકીની ભાડાની દુકાનો, જગ્યાઓ, કેબીનોનું આગામી વર્ષ 2022-23 નું ભાડું વસૂલવા, આગામી વર્ષનું અંદાજપત્ર જનરલ બોર્ડમાં રજૂ કરવા, નગરપાલિકાના જુદા-જુદા બિલ્ડિંગ માટે સ્ટ્રક્ચર ઇજનેરના પ્રમાણપત્ર મેળવવા, નગરપાલિકાના કાયમી કર્મચારીઓના સિનિયોરીટી રજીસ્ટર બનાવવા, જન્મ-મરણ શાખામાં રજીસ્ટ્રારની નિમણૂક કરવા, તિરૂપતિ સોસાયટીમાં ગટરના કામો કરવા તેમજ નગરપાલિકાના સદસ્યોની વિવિધ મુદ્દે આવેલી રજૂઆતો અંગે યોગ્ય કરવાના મુદ્દા આ બેઠકમાં લેવામાં આવ્યા છે.