ખંભાળિયામાં આખલા ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી, ઈજાગ્રસ્ત કરનારા પ્રૌઢની અટકાયત

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાના રામનગર વિસ્તારમાં એક હોટલ નજીક નંદી ઉપર કુહાડી વડે હુમલો કરી, આ અબોલ પશુને ઇજાગ્રસ્ત કરનારા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

ખંભાળિયા શહેર નજીક આવેલા રામનગર વાડી વિસ્તારમાં આજે સવારે એક બળદ ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાથી આ અંગેની જાણ કરવામાં આવતા એનિમલ કેર ગ્રુપના સેવાભાવી કાર્યકરો આ સ્થળે દોડી ગયા હતા અને આ આખલાને અહીંની અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં તેમના બંને પગમાં ફ્રેક્ચર તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજા હોવાથી અહીં તેની સારવાર કરવામાં આવી હતી.

આ પ્રકરણ અંગે ગૌ સેવક રામદેભાઈ કરસનભાઈ સાખરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આ જ વિસ્તારમાં રહેતા જેન્તીભાઈ વાલજીભાઈ પરમાર નામના શખ્સ સામે આઈ.પી.સી. કલમ 428 મુજબ ગુનો નોંધી, તેની ધરપકડ કરી હતી.પોલીસના હાથે ઝડપાયેલા આ ઇસમે પોતાના ખતેરમાં આખલો નુકશાન કરતો હોય ઇજા પહોંચાડ્યાની કબૂલાત આપી હતી.