ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિના રત્ન પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા રઘુવંશી સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાના વતની અને હાલ ઊંચાઈના અનેક શિખરો સર કરી અને શહેર ઉપરાંત રઘુવંશી જ્ઞાતિનું નામ સાતમા આકાશ પર પહોંચાડનારા પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ છે.

ડાઉન ટુ અર્થ બની અને જીવનમાં અનેક કઠીન પડકારો સામે હુંકાર ભેેર બાથ ભીડનાર પરિમલભાઈ નથવાણી હાલ આંધ્રપ્રદેશના રાજ્યસભાના સાંસદ ઉપરાંત વિશ્વની ટોચની એવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તરીકે તેમની અમૂલ્ય સેવાઓ આપે છે.

“વોઇસ ઓફ સૌરાષ્ટ્ર” તરીકેની ખ્યાતિ મેળવી, “સંબંધોના બાદશાહ” બની રહેલા પરિમલભાઈ નથવાણી ભગવાન દ્વારકાધીશ તેમજ ખોડીયાર માતામાં અપાર શ્રદ્ધા ધરાવે છે. ખાસ કરીને ધાર્મિક ઉપરાંત ઉદ્યોગ જગત, રમતગમત, વન્યજીવ સંરક્ષણ, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં તેમનું યોગદાન અમૂલ્ય અને અવિસ્મરણીય બની રહ્યું છે.

દૂરંદેશી અને કોઠાસૂઝથી સિદ્ધિના શિખરો સર કરનારા પરિમલભાઈ નથવાણી ખંભાળિયા શહેરને જરૂરિયાત મુજબ તમામ સુવિધાઓ પ્રાપ્ય બને તે માટે હર હમેશ સક્રિય રહે છે. વર્ષો જૂના સંબંધ તેમજ નાના-મોટા સૌને હંમેશા સ્મૃતિમાં રાખીને સૌને સહાયભૂત થવાનો ઉમદા સ્વભાવ ધરાવતા પરિમલભાઈ નથવાણીને આજરોજ ફક્ત રઘુવંશી જ્ઞાતિ જ નહીં, પરંતુ સમગ્ર ખંભાળિયા પંથક સહિતના લોકોએ જન્મદિવસ નિમિત્તે તેમને તંદુરસ્ત અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે માટેની શુભકામનાઓ પાઠવી છે.