દ્વારકા જિલ્લામાં સોમવારથી મિશન ઈન્દ્રધનુષ્યનો પ્રારંભ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રસીકરણથી વંચિત રહેલા બાળકો અને સગર્ભા બહેનો માટે સોમવાર તા. 7 મી થી સાત દિવસ સુધી “ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ ૪.૦”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત રૂટીન રસીકરણથી વંચિત રહી ગયેલા તેમજ અધુરી રસીઓ મુકાવેલી હોય તેવા બાળકો તથા રસીથી વંચિત રહેલ સગર્ભા મતાઓને રસીઓ આપવામાં આવશે. આ રસીકરણ કાર્યક્રમ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો તેમજ નક્કી કરેલ રસીકરણ કેન્દ્રો પર યોજાનાર છે.

વધુમાં “ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ્ય” કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે સર્વે કરી બે વર્ષની ઉંમર સુધીના રસીકરણથી વંચિત રહેલા અથવા અધુરી રસીઓ મુકાવેલી હોય તેવા તમામ બાળકોના સર્વે કરી તેમના માતા-પિતાઓને સંપૂર્ણ રસીકરણ કરાવવા, સગર્ભા માતાઓને ધનુર વિરોધી રસીના બે ડોઝ સહિતની સંપૂર્ણ રસીકરણની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત રસીકરણથી બાળ મૃત્યુ તેમજ બાળકોને પોલીયો, જન્મજાત ટી.બી., ડીપ્થેરીયા, મોટી ઉધરસ જેવા ઘાત્તક રોગોથી ભોગ બનતા અટકાવી શકાય છે તે અંગે સમજણ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લામાં શહેરી વિસ્તારોમાં સ્લમ વિસ્તાર, ઝુપડપટ્ટીઓ, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તેમજ કન્સ્ટ્રકશન સાઈટ, દુર્ગમ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતના તેમજ મજુરોના બાળકોને પણ આવરી લેવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરીકોને રસીકરણથી વંચિત રહેલા બાળકો અને સગર્ભા માતાઓને ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ્ય અંતર્ગત રસીકરણ કરાવવા માટે દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયાની યાદીમાં જણાવાયું છે.