પુત્રીઓ અવતરતા મીઠાપુરની સગર્ભા પરણિતાને ત્રાસ આપવા સબબ પતિ સામે ગુનો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતી પરિણીતાને પુત્રીઓ અવતરતા મારે દીકરી નહીં દીકરો જોઇએ તેમ કહી પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા મીઠાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં આવેલા નાગેશ્વર મંદિર નજીક રહેતી અને કારૂભા રાણાભા માણેકની પુત્રી નિમુબેન રમેશભા સુમણીયા નામની 33 વર્ષીય પરિણીત યુવતીના લગ્ન આજથી આશરે તેર વર્ષ પૂર્વે દ્વારકા ખાતે રહેતા રમેશભા બાલુભા સુમણીયા નામના 35 વર્ષના યુવાન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને ચાર પુત્રી અવતરી હતી. હાલ નીમુબેનને પાંચ માસનો ગર્ભ હોય, છેલ્લા ઘણા સમયથી તેણીના પતિ રમેશભા બાલુભા સુમણીયા દ્વારા અગાઉની ચાર દિકરીઓ અવતરતા નિમુબેનને ખોટી રીતે ધાક-ધમકી આપી અને “મારી દીકરી નહિ, દીકરો જોઈએ છે”- એમ કહી, ઝઘડો કરવામાં આવતો હતો. આમ શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતા નિમુબેન ચારેય પુત્રીઓ સાથે હાલ તેણીના માવતરે રહેવા ચાલી ગઈ હતી. આ સમગ્ર પ્રકરણમાં નિમુબેનની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે તેણીના પતિ રમેશભા બાલુભા સુમણીયા સામે સ્ત્રી અત્યાચારની કલમ 498(એ) તથા 323 મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી છે.