નવજાત શીશુને ફેંકી કે ત્યજી ન દેતા “અનામી પારણામાં” મુકવા તંત્રની અપીલ

દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં અનામી પારણું મુકાયું

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : આપણી આજુ-બાજુ અમુક કિસ્સાઓમાં બાળકને અવાવરૂં જગ્યાએ તરછોડી દિધુ હોય તેવી ઘટના આપણી આજુ-બાજુ બનતી હોય છે, જે ચિંતાજનક અને દુખ:દ છે. કોઇ વિકટ સ્થિતિ, સંજોગોમાં બાળકનો જ્ન્મ થયો હોય અને અનિચ્છનીય હોય ત્યારે આવા નવજાત તાજા જ્ન્મેલા બાળકને કોઇપણ જગ્યાએ ઝાડીમા, કચરા પેટીમાં, ખાડા-ખાબોચીયામાં, અવાવરૂ જગ્યાએ, ત્યજી કે ફેંકી દેવામાં આવે છે જેથી બાળકનો જીવ જવાનો, મોટી ઇજાઓ થવાનો, જાનવર દ્વારા કોઇ નુકસાન કે અપમૃત્યુ થવાના બનાવો બને છે. જેમાં જાણતા અજાણતા બાળકના મુળભુત અધિકારોનુ હનન કરીએ છીએ અને તેથી તેને સુરક્ષીત કરવા જોઇએ. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આવા બાળકોને ગમે ત્યાં ત્યજી ન દેતાં તેને સુરક્ષીત સ્થળે મુકવા માટે ખંભાળિયાની જનરલ હોસ્પીટલના પ્રવેશદ્વાર પાસેના પંડિત દિન દયાળ મેડીકલ સ્ટોર પાસે “અનામી પારણું” ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

આ અનામી પારણામાં કોઇપણ વ્યક્તિ કે માતા અથવા દંપતિ પોતાનું નવજાત શિશુ રાખીને જઈ શકે છે. આવી વિકટ સ્થિતિમાં કોઇ બાળકને “અનામી પારણા” માં મુકવામાં આવશે તો તેના વાલી-વારસ સંદર્ભે કોઇ તપાસ ન કરતા બાળકના પુન:સ્થાપન માટે સરકાર નિર્ધારીત શિશુગૃહ કે યોગ્ય વ્યવસ્થામાં મોકલી આપવાની કાર્યવાહિ કરવામાં આવે છે. જેમાં આ પ્રકારે બાળકોના શ્રેષ્ઠ હિતને ધ્યાને રાખી અનામી પારણાનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે તથા જીલ્લામાં કોઇ વ્યક્તિ કે દંપતિ બાળક દત્તક લેવા ઇચ્છતુ હોય તેમને ભારત સરકારની http://www.cara.nic.in પર નોંધણી કરાવી શકાય છે અથવા વધુ માહિતી માટે અત્રે જિલ્લા કલેકટર કચેરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે સંપર્ક કરવાનો રહેશે.