પાંજરાપોળમાં ગૌમાતાને ડ્રાયફૂટ લાપસીનું જમણ પીરસાયું

ખંભાળિયા નજીક આરાધનાધામ ખાતે જૈન શ્રેષ્ઠીઓ દ્વારા ગુરુજીની સ્મૃતિમાં સેવાકાર્ય કરાયું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા અને જાણીતા જૈન તીર્થધામ હાલાર તીર્થ આરાધના ધામ ખાતે આવેલી પાંજરાપોળમાં મોટી સંખ્યામાં ગાયોનો સુવ્યવસ્થિત રીતે નિભાવ કરવામાં આવે છે. આ પાંજરાપોળમાં જૈન શ્રેષ્ઠીઓ દ્વારા તેમના ગુરુજીની સ્મૃતિ અર્થે તમામ ગાયોને ડ્રાયફૂટ લાપસીનું જમણ કરાવવામાં આવ્યું હતું.

ખંભાળિયા નજીકના વિશ્વ વિખ્યાત આરાધના ધામ ખાતે ગુરુદેવ પૂ. શ્રી વજ્રાસેનવિજયજી મ.સા. ની સ્મૃતિમાં આચાર્ય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજના 64 મા જન્મદિવસ નિમિત્તે હાલ લંડન સ્થિત સુશીલાબેન જયંતીલાલ વીરચંદ ગડા તેમજ નિશાબેન મહેશભાઈ શાહના આર્થિક સહયોગથી આરાધનાધામ પાંજરાપોળ સ્થિત તમામ આશરે 500 જેટલી ગાય માતાને ડ્રાયફૂટ લાપસી તથા ફ્રુટ પીરસવામાં આવ્યા હતા.

 

વતન પ્રેમ સાથે ગૌ સેવાની આ પ્રવૃત્તિ પ્રેરણારૂપ બની રહી છે.