કોરોનામાં મૃતકના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય આપો: ખંભાળિયામાં કોંગ્રેસની માંગ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના કોવીડ ન્યાય યાત્રા કાર્યક્રમ અંતર્ગત દેવભુમી દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાળિયામાં જિલ્લા કલેકટરને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

રાજ્યમાં કોરાનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ. ચાર લાખની સરકારી સહાય, મૃતકના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની અને કોરોનાના દર્દીઓ દ્વારા સરકારી હોસ્પિટલમાં જગ્યા ન મળતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધેલી હોય, તેના બિલની ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવે તે માટેની સવિસ્તૃત રજૂઆત જિલ્લા કલેકટર સમક્ષ કરવામાં આવી હતી.

આ કોવિડ ન્યાય કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન, એભાભાઈ કરમુર, જયસુખભાઇ કણઝારીયા, પુર્વ ધારાસભ્ય ડો. આર.એન. વારોતરીયા અને મેરામણભાઈ ગોરિયા, લખુભાઈ નકુમ, છાયાબેન કુવા, એડવોકેટ સંજયભાઈ આંબલીયા સહિત જિલ્લા તથા તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો સાથે જોડાયા હતા.