ખંભાળિયામાંથી મેઘપર પડાણા વિસ્તારના ખૂન કેસનો નાસતો ફરતો કાચા કામનો આરોપી ઝડપાયો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા એક બાવાજી યુવાન સામે જામનગર જિલ્લામાં નોંધાયેલી હત્યાના કેસમાં જામીન મેળવી અને છેલ્લા એક વર્ષથી નાસી છૂટેલા કાચા કામના આ શખ્સને ખંભાળિયામાંથી જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.

ખંભાળિયાના ધરારનગર વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસે રહેતા સુરેશ ઉર્ફે સુરીયો શિવગર ગોસાઈ નામના 28 વર્ષના શખ્સ સામે જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથકમાં મર્ડર અંગેનો ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે જે-તે સમયે પોલીસે તેની ધરપકડ કરી અને જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

આ શખ્સ દ્વારા તારીખ 30-07-2021 થી વચગાળાના જામીન મેળવી સાત દિવસ બાદ પુનઃ હાજર જામનગર જિલ્લા જેલ ખાતે ઉપસ્થિત રહેવાના બદલે આ શખ્સ નાસી છૂટયો હતો. ફરાર થઈ ગયેલો ઉપરોક્ત આરોપી ખંભાળિયા આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે આ શખ્સને ખંભાળિયામાં ભાણવડના પાટીયા પાસે આવેલી ગંગા જમના હોટલ પાસેથી ઝડપી લીધો હતો. આગળની કાર્યવાહી અર્થે તેને ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.