જગતમંદિરના લાડવા ડેરું, સભામંડપના રિસ્ટોરેશન માટે પુરાતત્વ વિભાગના રિજીઓનલ ડાયરેકટર દ્વારકામાં

પશ્ચિમ ક્ષેત્રના નિર્દેશક નંદની ભટ્ટાચાર્ય સહિતના અધિકારીઓએ મંદિરનું નિરીક્ષણ કર્યું

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : દ્વારકા જગતમંદિરમાં જર્જરિત થયેલા લાડવા ડેરું, સભા મંડપ સહિતના પ્રાચીન સ્થાપત્યના રિસ્ટોરેશન, જીર્ણોદ્ધાર માટે લાંબા સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા યોજના ઘડી કાઢવામાં આવી છે ત્યારે અસર કામગીરી સંદર્ભે પુરાતત્વ વિભાગમાં પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રિય નિર્દેશક નંદની ભટ્ટાચાર્ય સાહુએ જગતમંદિરની મુલાકાત લઈ જર્જરિત બંધકામોની મુલાકાત લીધી હતી.

જગત મંદિરના જીર્ણોદ્ધારને લઈ ભારતીય પુરાતત્વ વિભાગના પશ્ચિમ ક્ષેત્રના રિજીઓનલ ડાયરેકટર નંદની ભટ્ટાચાર્ય સાહુ, રાજકોટ વિભાગ આર્કોલોજીકલ સુપ્રિટેન્ડ અનિલ કુમાર, લોકલ ઓફિસર એસ.કે.શાહ સહિતની ટીમે દ્વારકાની મુલાકાત લીધી હતી અને જગત મંદિરના જીણોદ્વાર કરવા માટે જગત મંદિરનાં મધ્ય ભાગ,(સભા મંડપ )નું સંરક્ષણ કાર્ય તેમજ લાડવા ડેરું સહિત જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં સંરક્ષણ કાર્ય વહેલી તકે શરું કરવા જાત નિરીક્ષણ કર્યું હતું. આ તકે આ સંરક્ષણ કાર્ય માટે જગત મંદિર બંધના સમયે એટલે કે એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધી સંરક્ષણ કાર્ય સત્વરે હાથ ધરનાર હોવાનું જાણવા મળ્યું હતું.

વધુમાં આ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓ કમિટી સમક્ષ મીટીંગ યોજી વહેલી તકે જગત મંદિર નું જરૂરી સમારકામ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, જગતમંદિરનાં અનેક ભાગો અને સભા મંડપમાં સંરક્ષણ કાર્ય કરવાની તાતી જરૂરિયાત લાંબા સમયથી છે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પગલાં સમયસર લેવા માં આવી રહ્યા હોવાનું રિજીઓનલ ડાયરેકટર નંદની ભટ્ટાચાર્ય સાહુએ જણાવ્યું હતું.