દ્વારકાથી સોમનાથ 215 કિલોમીટરનો દરિયો ખેળશે યુવા તરવૈયાઓ

20 તરુણો, યુવાનો દ્વારકાથી તરીને સોમનાથ જશે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા :
“ઘટડામાં ઘોડા થનગને, યૌવન વીંઝે પાંખ” જેવી પંક્તિને દ્વારકાના સાહસિક તરુણો તથા યુવાનો સચિતાર્થ કરી, દ્વારકાથી 215 કિલોમીટર દૂર આવેલા સોમનાથ ખાતે દરિયામાં તરીને જવાનું સાહસ કરનાર છે.

ઇન્ટરનેશનલ સ્કુબા ડાઈવર જેંતીલાલ બાંભણિયા તથા તેમના ગ્રુપના બંકિમ જોશી, પિનાકીન રાજ્યગુરુ, ઉમેશભાઈ રાજ્યગુરુ, વિગેરેને થોડા સમય પહેલા વિચાર આવ્યો કે તરુણ- યુવાનો સાથેની એક ટીમને દ્વારકાના દરિયામાં તરતા તરતા સોમનાથ લઈ જવા.

ભારતમાં પ્રથમ વખત 13 થી 20 વર્ષની ઉંમરના તરુણો-યુવાનોને લઈને આગામી તારીખ 20મી ફેબ્રુઆરીના રોજ આ ટીમ દ્વારકાની એન.ડી.એસ. હાઈસ્કુલના 10 તથા રાજકોટના 10 મળી કુલ 20 યુવાનો, તરુણો સાથે દરિયામાં સોમનાથ જવા પ્રયાણ કરશે.

આ અંગે આયોજન જયંતીભાઈ બાંભણિયા જણાવ્યું હતું કે દ્વારકાથી સોમનાથ સુધીનો માર્ગ દરિયામાં 215 કિલોમીટર નો છે. રોજના આશરે 20 થી 22 કિલોમીટરનું અંતર કાપી, રાત્રે વિરામ કરી, સવારે ફરીથી પ્રવાસ શરૂ થશે. અને સંભવતઃ પાંચમી માર્ચે તેઓ સોમનાથ પહોંચશે. જેન્તીભાઈ દ્વારા દસ રેસ્ક્યુ બોટ, બે અન્ય બોટ તથા જરૂરી સાધનો સાથે આ રોમાંચક, સાહસપૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે માટે સહયોગની અપીલ પણ કરવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી માટે જેન્તીભાઈ બાંભણિયાના નંબર 9106686980 પર સંપર્ક સાધવા વધુમાં જણાવાયું છે.