ખંભાળિયામાં જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે રઘુવંશી જ્ઞાતિજનો માટે સમૂહ પ્રસાદનું આયોજન

લોહાણા મિત્ર મંડળ દ્વારા સમૂહ ભોજનનું આયોજન

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની પુણ્યતિથી નિમિત્તે ખંભાળિયામાં અગાઉની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો માટે સમૂહ પ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના ગાઈડ લાઈનને અનુસરીને અત્રે આગામી તારીખ 26 મી ફેબ્રુઆરીના રોજ અત્રે વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે સમૂહ પ્રસાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી લોહાણા મિત્ર મંડળ દ્વારા પૂજ્ય જલારામ બાપાની 141 મી પુણ્યતિથિ નિમિત્તે આગામી શનિવાર તારીખ 26 મી ફેબ્રુઆરીના રોજ રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો માટે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અત્રે બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજનવાડી ખાતે આગામી શનિવારે સાંજે છ થી આઠ વાગ્યા સુધી બહેનો માટે તથા રાત્રે આઠથી દસ વાગ્યા સુધી ભાઈઓ માટે સમૂહ પ્રસાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે પુણ્યતિથિ નિમિત્તે પાર્સલ સ્વરૂપે પ્રસાદ વિતરણ તથા આ માટે નામ નોંધણી કરવાનું અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું. જે હવે મુલતવી રાખી અને કોરોના ગાઈડ લાઈનને અનુસરીને જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો માટે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ માટે લોહાણા મિત્ર મંડળની ટીમ સાથે રઘુવંશી આગેવાનો તથા કાર્યકરો ખભે-ખભા મિલાવીને જહેમત ઉઠાવી રહ્યા છે.