ભાણવડના યુવાનને મારી નાખવાની ધમકી સબબ દંપતી સામે ફરિયાદ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ભાણવડ તાબેના વિજયપુર ગામે રહેતા મિલનભાઈ ઉર્ફે કાળુભાઈ મૂળજીભાઈ ગોરફાડ નામના 33 વર્ષના યુવાનને આ જ વિસ્તારમાં રહેતા બાબુભાઈ વાલાભાઈ કણેત તથા તેમના પત્ની રૂડીબેન બાબુભાઈ કણેત દ્વારા બિભત્સ ગાળો કાઢી, લાકડા વડે બેફામ માર મારીને મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત હાલતમાં તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ચારેક વર્ષથી આરોપીઓએ મિલનભાઈના ઘર પાસે રસ્તામાં ઉકેડો કર્યો હોય, તેથી તેમને રસ્તે આવવા જવામાં તકલીફ પડતી હોવાથી મિલનભાઈએ બાવળના કાંટા નાખ્યા હતા. તે બાબતે બોલાચાલી કરી, દંપતીએ માર મારતા આ સમગ્ર બનાવ અંગે મિલનભાઈ ઉર્ફે કાળુભાઈ ગોરફાળની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે દંપતી સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.