દ્વારકામાં ઘર કંકાસમાં પતિના હાથે પત્નીની કરપીણ હત્યા

પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિએ એસિડ પી લીધું : સારવાર હેઠળ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકામાં આજરોજ બપોરે હિન્દુ વાઘેર પરિવારના એક આધેડે પોતાના ધર્મપત્નીને કુહાડાનો ઘા ઝીંકી અને નિર્મમ હત્યા નીપજાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્ની ઉપર હુમલો કરી, પતિએ એસિડ પી લેતાં તેને વધુ સારવાર માટે જામનગર ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાના રુક્ષ્મણી ગેઈટ વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટી ખાતે રહેતા લખમણભા કરસનભા સુમણીયા નામના આશરે 50 વર્ષના આધેડને તેમના પત્ની સંતોકબેન (ઉ.વ. 46) સાથે કોઈ કારણોસર અવારનવાર બોલાચાલી થતી હતી. દંપતી વચ્ચે ચાલી રહેલા ઘર કંકાસે આજરોજ બપોરે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સંતોકબેનના પતિ લખમણભાના માથા ઉપર કાળ સવાર થઈ જતા બપોરે આશરે એકાદ વાગ્યાના સમયે તેણે પોતાના હાથમાં કુહાડો લીધો હતો અને પોતાના પત્ની સંતોકબેનના માથામાં ઝીંકી દીધો હતો.

આ હુમલાના કારણે લોહી લુહાણ હાલતમાં મૂર્છિત બનેલા સંતોકબેનને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પરિસ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે જામનગર લઇ જવાતા માર્ગમાં જ તેમણે અંતિમ શ્વાસ ખેંચતા હતા.

આ પછી લખમણભાએ પણ પોતાના ઘરે એસિડ ગટગટાવી લેતા તેમને સ્થાનિક હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દંપતીનો લગ્નગાળો આશરે 26 વર્ષનો હતો અને લગ્નજીવન દરમિયાન હાલ તેમને ચાર સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી એક પુત્ર તથા એક પુત્રીના લગ્ન થઈ ચૂક્યા છે. આ સમગ્ર બનાવ અંગે ટી.વી. સ્ટેશન વિસ્તારમાં અલગ રહેતા મૃતકના પુત્ર જગદીશભા લખમણભા સુમણીયા (ઉ.વ. 25) એ પોતાના પિતા સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેના અનુસંધાને પોલીસે મનુષ્ય વધની કલમ 302 વિગેરે મુજબ ગુનો નોંધી દ્વારકાના પી.આઈ. પી.એ. પરમાર તથા સ્ટાફ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી છે. આ બનાવે દ્વારકા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.