ખંભાળિયા એકલવાયું જીવન જીવતા રઘુવંશી આધેડે જિંદગી ટૂંકાવી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને અપરિણીત એવા એક લોહાણા આધેડે પોતાના ઘરે નીકળી ગયા બાદ ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

આ કરૂણ બનાવની વિગત મુજબ ખંભાળિયાના વોરા વાડ વિસ્તારમાં રહેતા અને અપરિણીત એવા નીતિનભાઈ કિશોરભાઈ રાડિયા નામના આશરે 52 વર્ષના લોહાણા આધેડ છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની બીમારીઓ સાથે માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં હતા. નીતિનભાઈ ગઈકાલે સાંજે તેમના એક મિત્ર પાસેથી નીકળીને ગયા બાદ પરત ન ફરતા તેમની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ વચ્ચે આજરોજ સાંજે અહીંના ઘી ડેમ વિસ્તારમાં નીતિનભાઈના મોબાઈલ પર્સ વિગેરે પડ્યા હોવાની જાણ તેમના પરિવારજનોને થતાં આ અંગે અહીંના ફાયર બ્રિગેડ વિભાગ તથા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ફાયરના જવાનોએ ડેમમાંથી નિતીનભાઈ રાડિયાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના પરિવારજનો તથા તેમના મિત્રવર્તુળમાં શોકની લાગણી પ્રસરી છે.