દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરનો પ્રારંભ : આવતીકાલે રાહુલ ગાંધીનું આગમન

શિબિરમાં રાજ્યના જુદા-જુદા 18 વિષયોની વર્તમાન પરિસ્થિતી પર ચિંતન કરાશે – કોંગ્રેસ પ્રવક્તા

સલામતીની વાતો કરીને ચૂંટાતી ભાજપની સરકારમાં બેન-દીકરીઓ સલામત નથી : મનીષ દોશી

(રિશી રૂપારેલિયા દ્વારા)
દ્વારકા : કોંગ્રેસ દ્વારા આજથી દ્વારકા ખાતે ત્રી દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાયો છે. ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિત તમામ કોંગ્રેસના આગેવાનોએ ભગવાન દ્વારકાધીશના નમન કરી પૂજા વિધિ કરી હતી. નોંધનીય છે કે આ ત્રિદિવસીય શિબિરમાં આવતીકાલે રાહુલ ગાંધી પણ જોડાનાર છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, “ભગવાન દ્વારકાધીશના શરણમાં રહીને સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને ગુજરાતીઓ આનંદ અનુભવે તે માટે ગુજરાત પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરોએ દ્વારકાધિશને પ્રાર્થના કરી છે. તમામ ગુજરાતીઓ કોંગ્રેસના શાસન માટે ગર્વથી કહે આ અમારું ગુજરાતનું શાસન છે, જેમાં ખેડૂતોને ન્યાય મળતો હોય, વિદ્યાર્થીઓને રોજગારી મળતી હોય, મહિલાઓને સુરક્ષા મળે તે માટે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વિનંતી અને પ્રાર્થના કરાઈ છે. તેમજ ત્રિદિવસીય શિબિરનો શુભારંભ ગુજરાત ગુજરાત પ્રદેશ પ્રભારી અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચિંતન શિબિરમાં રાજ્યના જુદા-જુદા 18 વિષયો પર રાજ્યની વર્તમાન પરિસ્થિતિ સમસ્યાઓ અને રોજગાર, મહિલા સુરક્ષા પર ચિંતન કરવામાં આવશે. તેમજ સંગઠનની બાબતો પર ચર્ચા કરવામાં આવશે. તમામ મુદ્દા પર કોંગ્રેસ શું કરશે તેના પર ચિંતન શિબિરમાં ચર્ચા થશે. જ્યારે આજે ચિંતન શિબિરના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો, ચૂંટાયેલા શહેર અને જિલ્લાના પ્રમુખો અને પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ સહિત ગુજરાતમાંથી 500 કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા.

રાહુલ ગાંધીના આગમન વિશે જણાવતાં મનીષભાઈએ કહ્યું હતું કે, “આવતીકાલે 26 તારીખે રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં હાજરી આપવાના છે, ત્યારે તે આવતીકાલે શનિવારે 12:30 કલાકે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ચિંતન શિબિરમાં બપોરે 1થી 4 વાગ્યા સુધી હાજરી આપશે. ત્યારબાદ તારીખ 27 ફેબ્રુઆરીના રોજ ચિંતન શિબિરનું સમાપન થશે અને દ્વારકા ડેક્લેરેશનનું ગુજરાત અને ગુજરાતીના ન્યાયના અધિકારોની લડત માટે કોંગ્રેસના દ્રષ્ટિકોણથી રજુ કરવામાં આવશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ શિબિરનો એ જ અર્થ છે કે ગહન ચર્ચા કરીને ગુજરાતમાં આગામી દિવસોમાં આજે જ્યારે ગુજરાત ભયમુક્ત-ભ્રષ્ટાચાર મુક્ત નથી અને સલામતીની વાતો કરીને આવતી ભાજપની સરકારમાં સામાન્ય બેન-દીકરીઓ સલામત નથી, ત્યારે ગાંધી-સરદારના મૂલ્યો પ્રસ્થાપિત કરવા કોંગ્રેસ ચિંતન મનન થકી આગામી ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરી પ્રજાહિતમાં લડત ચલાવશે.