ખંભાળિયા નગરપાલિકાના બાકીદારોને મળશે વ્યાજ-પેનલ્ટીની માફી

સરકારી યોજના મુજબ બાકીદારોને અગાઉનો વેરો ચૂકતે કરતા થશે લાભ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં નગરપાલીકાને ચૂકવવાના થતા હાઉસ ટેક્સ સહિતના વિવિધ કરવેરાઓની તોતિંગ રકમ મોટી સંખ્યામાં આસામીઓ પાસેથી લહેણી નીકળે છે. આ વચ્ચે રાજ્ય સરકારની ચોક્કસ યોજના દ્વારા આગામી તારીખ 31 માર્ચ સુધીમાં અગાઉના તમામ બાકી કરવેરાઓ ચૂકતે કરતા આસામીઓને વ્યાજ, પેનલ્ટીની માફી અંગેની યોજના અમલમાં મુકવામાં આવી છે.

ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરના મોટી સંખ્યામાં આસામીઓ પાસેથી વિવિધ પ્રકારના ટેક્સની કરોડો રૂપિયાની રકમ લહેણી નીકળે છે. શહેરના આવા આસામીઓ પાલિકાને ચૂકવવાપાત્ર ટેક્સ ભરવામાં બેદરકાર અને નિસ્ફિકર બની રહ્યા છે. નગરપાલિકા દ્વારા અગાઉ વેરાની કડક વસુલાત કરવામાં આવી ન હોવાથી હાલ શહેરમાં વિવિધ પ્રકારના ટેક્સની કુલ બાકી રકમ વધીને 3.86 કરોડ સુધી પહોંચી ગઈ છે. હાલમાં નગરપાલિકા તંત્ર દ્વારા બાકીદારોને અલ્ટીમેટમ સાથેની નોટિસ ઉપરાંત મિલકત સીલ કરવા અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક પાલિકાઓમાં વેરાની તાકીદે વસુલાત થાય એને કરદાતાઓને થોડી રાહત મળી રહે તે હેતુથી “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” અમલમાં મુકવામાં આવી છે. જે ખંભાળિયા નગરપાલિકામાં પણ અમલી બની છે. આ અંગેનો ઠરાવ તાજેતરમાં ખંભાળિયા નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં મંજૂર કરી, તેની દરખાસ્ત બાદ ખંભાળિયા પાલિકા વિસ્તારના કરદાતાઓ માટે આ યોજના અમલી બની છે. જેમાં ખંભાળિયા નગરપાલિકા વિસ્તારના કોઈ પણ આસામી તેમના અગાઉના બાકી કરવેરાની રકમ તારીખ 31મી માર્ચ 2022 સુધીમાં ચુકતે ભરપાઇ કરે તો તેઓને આ અંગેની નોટીસ ફી, વ્યાજ, પેનલ્ટી, કે વોરંટ ફી જેવી વધારાની દંડની રકમ ભરવાની રહેશે નહીં. તેઓએ અગાઉના લહેણાની માત્ર મુદ્દલ રકમ જ પાલિકાને ભરવાની રહેશે.

આમ, પાલિકાના બાકીદારો તેઓના મિલકતવેરો, પાણીવેરો, સફાઈવેરો તથા દીવાબત્તી વેરો તારીખ 31 માર્ચ સુધીમાં ચુકતે કરી, સરકારની આ યોજનાનો લાભ લ્યે તે માટે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા કારોબારી ચેરમેન હિનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.