ખંભાળિયામાં “નલ સે જલ” યોજના માટે પાલિકાને રૂપિયા 7.22 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં લોકોને પીવાનું પાણી વ્યવસ્થિત રીતે મળે, તે માટેની ખૂટતી સુવિધા અર્થે રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને રૂપિયા 7.22 કરોડ ફાળવવાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ “નલ સે જલ” યોજના અંતર્ગત આગામી સમયમાં શહેરની વસ્તી માટે પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાને લઇ અને ખંભાળિયા નગરપાલિકા માટે પાણી પુરવઠાના જુદા જુદા કામુક કરવા રૂપિયા 7.22 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ યોજના અંતર્ગત ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાને લગતા ખૂટતી કડીના કામો જેવા કે ઘી ડેમ ખાતેથી નજીકના વોટર વકર્સ સુધી આવતી જૂની આર.સી.સી. લાઈનના બદલે 400 એમ.એમ. ડી.આઈ. ની લાઈન નાખવાનું કામ, ઘી ડેમથી ફુલવાડી વોટર વકર્સ સુધી 600 એમ.એમ. ડાયામીટરની નવી રાઇઝિંગ મેઈન લાઈન નાખવાનું કામ, ઘી ડેમ હેડ વકર્સમાં અંડર ગ્રાઉન્ડ સંપ રીપેરીંગ ના કામો, જડેશ્વરની ટેકરી પાસે આવેલી ઊંચી ટાંકીને રીપેરીંગ કરીને રીનોવેશન કરવાનું કામ, શહેરમાં જુદી જુદી જગ્યાએ અંદાજે 8 કિલોમીટર જેટલી ડિસ્ટ્રીબ્યુશન લાઈનનું કામ, શહેરમાં ડિસ્ટ્રીબ્યુશન સપ્લાયમાં વાલ્લ બદલવાનું કામ તથા પાણી પુરવઠાને લગતા અન્ય જરૂરી કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના અન્વયે ઉપરોક્ત કામ પૂર્ણ થયા બાદ આગામી સમયમાં શહેરના તમામ વિસ્તારોમાં પૂરતા પાણી પ્રમાણમાં પાણી વિતરણ થઇ શકશે.

રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયા શહેરના નગરજનો માટે પાણીની સુવિધા અર્થે નગરપાલિકાને રૂપિયા 7.22 કરોડ જેટલી નોંધપાત્ર રકમ મંજૂર કરવામાં આવતા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર, પ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય, શાસક પક્ષના નેતા દિલીપભાઈ ઘઘડા, દંડક સોનલબેન નાથુભાઈ વાનરીયા, વોટર વકર્સ સમિતિના ચેરમેન મહેશભાઈ ધોરીયા તથા પાલિકાના સદસ્યો તેમજ નગરજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.