ખંભાળિયાના ધારાસભ્યના કથનના વિરોધમાં સતવારા સમાજ દ્વારા રેલી

ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતું આવેદન અપાયું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાના ધારાસભ્યના કથનના વિરોધમાં સતવારા સમાજ દ્વારા રેલી કાઢી

ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતું આવેદન અપાયું હતું.

ખંભાળિયાના ધારાસભ્ય દ્વારા તાજેતરમાં વિધાનસભામાં અહીંના એક તલાટી મંત્રી સામે દારૂ પીવા સહિતના આક્ષેપો કરતું નિવેદન આપવામાં આવતા આ પછી તલાટી મંત્રીની તાલુકા ફેર કરવામાં આવેલી બદલીનો ઉગ્ર વિરોધ અહીંના સતવારા સમાજ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આ પ્રકરણના સંદર્ભમાં જિલ્લાના જુદાજુદા હોદ્દા પર રહેલા તેર આગેવાનોએ તેમના હોદ્દા પરથી આગામી તારીખ 21 મીના રોજ રાજીનામું આપવાનું પણ નક્કી કરવું કરવામાં આવી હોવાનું જાહેર થયું છે.

આ પ્રકરણના અનુસંધાને આજરોજ સોમવારે સાંજે અહીના સતવારા સમાજના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો અહીંના વાછરાવાવ મંદિર ખાતે એકત્ર થયા હતા અને રેલી સ્વરૂપે અહીંના જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા વિધાનસભા સત્રમાં ખંભાળિયા તાલુકાના ધરમપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સામે દારૂ પીવા સહિતના કરવામાં આવેલા આક્ષેપોનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તલાટી મંત્રીને ક્લીન ચીટ મળી હોવા છતાં ધારાસભ્ય દ્વારા સતવારા સમાજના એક નાના કર્મચારી વિરુદ્ધ વિધાનસભા ગૃહમાં ખોટા અને પાયાવિહોણા મનાતા આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી સતવારા સમાજના લોકોની લાગણી દુભાઈ છે. આમ, આ પ્રકરણના અનુસંધાને ધારાસભ્ય સામે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ આ પત્રમાં કરવામાં આવી છે.

કલેકટરને પાઠવવામાં આવેલા આ પત્રની નકલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ, વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ અહીંના જિલ્લા વિકાસ અધિકારીને પણ આપવામાં આવી છે.