ચકલી દિવસ નિમિત્તે ખંભાળિયામાં આવતીકાલે કુંડાનું વિતરણ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ચકલી દિવસ નિમિત્તે ખંભાળિયામાં આવતીકાલે કુંડાનું વિતરણ કરાશે.

ઘરના આંગણામાં મીઠો કલબલાટ કરતા નાના અને સૌને ગમે એવા પક્ષી ચકલીની લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે દર વર્ષે 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આના અનુસંધાને ખંભાળિયાની સેવા સંસ્થા સત્યમ સેવા સમિતિ દ્વારા પણ સેવાકાર્ય કરવામાં આવનાર છે.

વર્લ્ડ સ્પેરો ડે એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આવતીકાલે રવિવાર તારીખ 20મી માર્ચના રોજ ચકલીઓને ગ્રીષ્મ ઋતુમાં ટાઢક મળે તે હેતુથી સત્યમ સેવા સમિતિના ઉપક્રમે નગરજનોને વિનામૂલ્ય પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવનાર છે. આ નિમિત્તે અત્રે મ્યુનિસિપલ ગાર્ડન ખાતે આવેલા યોગ કેન્દ્રમાં સત્યમ સેવા સમિતિના કાર્યકરો ચકલી માટે માટીના કુંડા નગરજનોને વિના મૂલ્ય આપશે. જેનો લાભ લેવા તથા વધુ માહિતી માટે મોબાઈલ નંબર 98796 80822 પર સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે.