ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા આવતીકાલે જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા આવતીકાલે જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે.

ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના નવા વરાયેલા ચેરમેન ચંદુબા પ્રતાપસિંહ જાડેજા તથા તત્કાલીન ચેરમેન અને ક્ષત્રિય અગ્રણી પી.એસ. જાડેજા પરિવાર દ્વારા આવતીકાલે રવિવારે દ્વારકા સ્થિત વિશ્વવિખ્યાત જગત મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

અહીંના જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખ તથા ડિસ્ટ્રિક બેંકના ચેરમેન પી.એસ. જાડેજા દ્વારા યોજવામાં આવેલા આ ધર્મમય આયોજનના ભાગરૂપે રવિવાર તારીખ 20 મીના રોજ સવારે નવ વાગ્યે નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધવજાજી પૂજન અને નૂતન ધ્વજારોહણ બાદ બપોરે ત્રણથી પાંચ જગત મંદિર- દ્વારકાધીશ ખાતે ધ્વજાજી પૂજન બાદ નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રવિવારે સાંજે 7 થી 9 વાગ્યા સુધી દ્વારકાના સનાતન સેવા મંડળ પ્રભુ પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

આ આયોજનમાં સહભાગી થવા નિમંત્રિતોને આયોજક જાડેજા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.