ખંભાળિયાની દેરામોરા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાની દેરામોરા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં આવેલી શ્રી દેરામોરા પ્રાથમિક શાળામાં તાજેતરમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

આ શાળામાં અભ્યાસ કરી ચુકેલા ધોરણ-8 ના વિદ્યાર્થીઓ વિદાય સમારંભ પ્રસંગે યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમમાં સ્વાગત ગીત, ફેરવેલ સોંગ, કોમેડી, ડાન્સ કભી અલવિદા ના કહેના ગીત, વિગેરે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બ્રહ્મ સમાજના અગ્રણી વિજયભાઈ રાજ્યગુરૂ દ્વારા વિદ્યાર્થીઓ મોમેન્ટો તથા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય જીતેન્દ્રભાઈ કણજારીયા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, સરપંચ સુનિલભાઈ નકુમ, સી.આર.સી. વિજયભાઈ કણજારીયા, વિજય સ્કૂલ પ્રિન્સિપાલ હિતેન્દ્રભાઈ આચાર્ય, પ્રોફેસર ભાવિકભાઈ પંચાસરા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સહયોગ બદલ શાળા દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય જ્યોતિષભાઈ ચૌધરી તમામ બાળકો ઉચ્ચ અભ્યાસ કરી અને સિદ્ધિના શિખરો સર કરી, પોતાનું તથા શાળા અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. આ આયોજન માટે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.