ઓખામંડળના સદગત વેપારી અગ્રણીની સ્મૃતિમાં આવતીકાલે રામધુન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખામંડળના સદગત વેપારી અગ્રણીની સ્મૃતિમાં આવતીકાલે રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓખામંડળના જાણીતા રઘુવંશી અગ્રણી, સુરજકરાડી ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ તથા ઓખામંડળ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી મુકેશભાઈ હંસરાજભાઈ કાનાણીનું ગત શનિવાર તારીખ 23 માર્ચના રોજ અકાળે નિધન થતાં સમગ્ર ઓખામંડળ સાથે રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

સમગ્ર દ્વારકા પંથકના વેપારીઓમાં આગળ પડતું નામ ધરાવતા, વિવિધ સામાજિક તથા સેવા સંસ્થાઓમાં સક્રિય રીતે સેવાઓ આપતા અને સાલસ સ્વભાવના મુકેશભાઈ કાનાણીની વિદાયથી વેપારીઓએ શોકની લાગણી વ્યક્ત કરી, શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સદગત મુકેશભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે આવતીકાલે શનિવાર તારીખ 2 એપ્રિલના રોજ રામધુનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત આવતીકાલે શનિવારે રાત્રે 10 વાગ્યે મીઠાપુરની આશાપુરા સોસાયટી ખાતે આવેલા સત્યમ-શિવમ-સુંદરમ ખાતેના નિવાસસ્થાને યોજવામાં આવેલા રામધુનના આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે. જેમાં સહભાગી થવા કાનાણી પરિવાર દ્વારા સર્વેને અપીલ કરવામાં આવી છે.