અયોધ્યાના રાજા પ્રજા માટે કરે છે ઓવરટાઇમ : 70 વર્ષ બાદ રામલલ્લાના દર્શનનો સમય લંબાવાયો

અયોધ્યામાં રામનવમી પર્વની ચાલી રહી છે જોરશોરથી તૈયારીઓ : સુરક્ષા કર્મચારીઓનો ડ્રેસકોડ પણ બદલાયો

દ્વારકા : આગામી 11મી એપ્રિલ, 2022ના રોજ રામનવમી નિમિત્તે અયોધ્યામાં રામનવમી પર્વની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે 70 વર્ષ બાદ રામલલ્લાના દર્શનનો સમય લંબાવાયો છે અને હવે સુરક્ષા કર્મચારીઓ યુનિફોર્મને બદલે સાદા કપડામાં તૈનાત રહેશે.

હાલમાં અયોધ્યામાં રામલલા સંકુલમાં રામ મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે. લાંબા સમયથી તંબુમાં રહેલા અયોધ્યાના રાજા શ્રી રામ વૈકલ્પિક નવા મંદિરમાં બિરાજમાન છે. આ દરમિયાન, વધુ બે ફેરફાર કરવામાં આવ્યા છે.

એવું કહી શકાય છે કે અયોધ્યાના રાજા પ્રજા માટે ઓવરટાઇમ કરી રહ્યા છે! રામલલ્લા ભક્તો સાથે 3 કલાક વધુ સમય વિતાવશે. આ અંતર્ગત ભગવાન શ્રીરામ હવે સવારે એક કલાક વહેલા ઉઠશે અને રાત્રે બે કલાક મોડા ઊંઘશે. કારણ કે 70 વર્ષ બાદ દર્શનનો સમય બદલવામાં આવ્યો છે. રામલલ્લાની શૃંગાર આરતી સોમવારે સવારે 6.30ના બદલે સવારે 5.30 કલાકે અને બીજી તરફ વિશ્રામ આરતી સાંજે 6ને બદલે 8 વાગ્યે કરવામાં આવે છે. આ ફેરફાર સોમવારથી કરવામાં આવ્યો છે. જેથી, વધુમાં વધુ ભક્તો રામલલાના દર્શન કરી શકે.

સુરક્ષા જવાનોનો ડ્રેસ પણ બદલાઈ ગયો

શ્રી રામલલ્લા મંદિરની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓના ડ્રેસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે મંદિરમાં આવતા ભક્તોની તપાસ કરતા પુરૂષ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ પોલીસ યુનિફોર્મને બદલે સાદા કપડામાં હશે. તેમના માટે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટનો ડ્રેસ કોડ બનાવવામાં આવ્યો છે.