ખંભાળિયાના આધેડે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા એક હિન્દુ સંઘાર પ્રૌઢે ગતરાત્રે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા રાજુભાઈ રણમલભાઈ સુયા નામના આશરે બાવન વર્ષના હિન્દુ સંઘાર પ્રૌઢે ગઈકાલે રાત્રે આશરે નવેક વાગ્યાના સમયે પોતાના રહેણાંક મકાનમાં ઘરના પીઢીયામાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે મૃતકના પરિવારજનોનું નિવેદન નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી. નિઃસંતાન એવા મૃતક રાજુભાઈ સુયા છેલ્લા કેટલાક સમયથી કામધંધાના અભાવે આર્થિક ભીંસમાં હોવાથી તેમણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.