ખંભાળિયામાં બ્રહ્મ સમાજનું કાર્યાલય ખુલ્લું મૂકાયું

જ્ઞાતિના લોકોને મદદરૂપ થવાનો આશય

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના ચાર રસ્તા વિસ્તાર નજીક આવેલા વિજય સિનેમા પાસે એક રહેણાંક મકાનમાં અહીંના બ્રહ્મ સમાજના જ્ઞાતિજનો માટે કાર્યાલય તરીકેનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ખંભાળિયાના આગેવાન અને નગરપાલિકાના અધિકારી રાજુભાઈ વ્યાસના સહયોગથી આ કાર્યાલય રાજસ્થાનના પ્રખર વિદ્વાન જ્યોતિષાચાર્ય શ્રીપ્રભુ શાસ્ત્રીના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે બ્રહ્મ મિત્ર મંડળના વિનાયકભાઈ ભટ્ટ, વોરિયાભાઈ, દિલીપભાઈ બોડા, હાર્દિકભાઈ બોડા, વિગેરે જોડાયા હતા.

આ પ્રસંગે વિનાયકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના કાર્યો કરવા તથા બહારગામથી ખંભાળિયા પરીક્ષા અર્થે તથા કોઈપણ કામ માટે આવતા લોકોને મદદરૂપ થવા માટે આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જરૂર પડ્યે બીજું કાર્યાલય શરૂ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી રહી છે.

આ કાર્યાલય દ્વારા બ્રહ્મ સમાજના લોકોને મદદરૂપ થઇ શકાશે. આ માટે જરૂરી સહયોગ આપવા બ્રહ્મ સમાજના આગેવાનો, કાર્યકરોને અપીલ પણ કરવામાં આવી છે.