મીઠાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે વૃદ્ધનું મૃત્યુ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા દામજીભાઈ મેઘજીભાઈ રાઠોડ નામના વૃદ્ધ ગઈકાલે મંગળવારે બપોરે પોતાના જી.જે. 25 કે.7306 નંબરના સ્કૂટી મોટરસાયકલ પર ભીમરાણાથી સુરજકરાડી દૂધ લેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક રહેલા એક અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા દામજીભાઈને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં વધુ સારવાર અર્થે દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. અકસ્માત સર્જી, અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હોવાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર જીગ્નેશભાઈ દામજીભાઈ રાઠોડ (ઉ.વ. 33) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304(અ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.