ખંભાળિયાના વતની ધારાસભ્ય દ્વારા ભાગવત સપ્તાહ સંદર્ભે સર્વજ્ઞાતિય બેઠક યોજાઇ

તમામ ભક્તોને લાભ લેવા અપીલ કરતા ધારાસભ્ય હકુભા જાડેજા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મુળ વતની અને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા આગામી તારીખ પહેલી મે થી જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ વિખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસાસને પ્રારંભ થનારી આ ભાગવત સપ્તાહ સંદર્ભે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા ગઈકાલે મંગળવારે ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી રાજપૂત સમાજની વાડી ખાતે એક સર્વજ્ઞાતિય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ જ્ઞાતિના આગેવાનો હોદ્દેદારો જોડાયા હતા.

અવારનવાર અનેકવિધ પ્રકારના ધર્મોત્સવ તથા વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિઓ કરતા હકુભા જાડેજા વતી ઉપસ્થિત સૌ આગેવાનોએ લોકોને કથા શ્રવણનો લાભ લેવા અપીલ કરી હતી. જેમાં અહીંના પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, દાતા સદગૃહસ્થ ભીખુભા હરીસંગ વાઢેર, સી.આર. જાડેજા, મયુરભાઈ ગઢવી, પી.એસ. જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મસરીભાઈ નંદાણીયા, હિતેન્દ્રભાઈ આચાર્ય, ગીરૂભા જાડેજા, પાલિકા ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, મહાજનના ટ્રસ્ટી અરુણભાઈ મજીઠીયા, હરીભાઈ નકુમ, દિલીપભાઈ ઘઘડા સહિત વિવિધ જ્ઞાતિના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં આ બેઠકમાં જોડાયા હતા.

આ પ્રસંગે તમામ ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણમાં જોડાવવા માટે મુખ્ય આયોજક શ્રી હકુભા જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી હતી.