ટેલી મેડિસીન અને ઇ- સંજીવની ઓ.પી.ડી.એટલે ઘર આંગણે દવાખાનું : દર્દીઓ માટે સંજીવની

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામા આવેલ “ઘર આંગણે દવાખાનું” – ઇ-સંજીવની ઓ.પી.ડી. સેવાનો લાભ દર્દી અને તેમના ઘરના લોકો દ્વારા નિઃશૂલ્ક મેળવી શકે છે”

(કુંજન રાડિયા) (રિશી રૂપારેલિયા) દ્વારકા : સરકારી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે જ્યારે કોઈ દર્દીઓ સારવાર માટે જાય ત્યારે ત્યાંના તબીબોને વધુ રેફરન્સ માટે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની સલાહ અને સારવારની આવશ્યકતા જણાશે તો ત્યાંથી જ રાજ્ય કક્ષાના ટેલી મેડિસીન હબમાં હાજર વિવિધ વિષયના નિષ્ણાત ડૉક્ટર સાથે ટેલી મેડિસીન મારફત સંપર્ક કરી ઉચ્ચ સારવાર તથાસલાહની વ્યવસ્થા કરવામાં આવે છે.

ઇ-સંજીવની ઓ.પી.ડી.ની એપ્લીકેશન એન્ડ્રોઇડ ફોનમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપમાં દર્દી તરીકે રજીસ્ટર કરવાથી એક ટોકન આવે છે. આ ટોકન લખવાથી સીધા જ ઇચ્છીત તજજ્ઞોનો સંપર્ક કરી શકાય છે અને માર્ગદર્શન તથા સારવાર મળી શકે છે.

તજજ્ઞો દ્વારા ઇ-પ્રિસ્ક્રીપ્શન ફોનમાં એસ. એમ. એસ.થી દર્દીને મળી જાય છે.આ ઇ- પ્રિસ્ક્રીપ્શન કોઇપણ સરકારી દવાખાનામાં બતાવવાની નિઃશૂલ્ક દવાઓ મળી જાય છે. લાંબી લાઇનોમાં ઉભા નથી રહેવું પડતું અને સમય અને લોકોના વધુ સંપર્કમાં આવવાથી પણ બચી શકાય છે.

આ યોજના તમામ જનતા માટે ખૂબ જ લાભકારી છે. જેનાથી પ્રજાજનો તજજ્ઞોના કન્સલ્ટન્ટેશનમાં થતો ખર્ચ નિવારી શકે છે. સિવિલ હોસ્પિટલ તથા અન્ય મોટી હોસ્પીટલમાં થતી ભીડ પણ અટકાવી શકાય છે. અત્યારના ભાગદોડભર્યા સમયગાળામાં રોગચાળો અટકાયત માટે અગત્યનું સાધન પુરવાર થઇ શકે તેમ છે.

આથી, તમામ જનતા આ ઇ- સંજીવની ઓ.પી.ડી.એપ ડાઉનલોડ કરી મહતમ ઉપયોગ કરે અને ટેલી મેડિસીન માધ્યમનો ઉપયોગ કરે એવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. રાજ સુતરિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.