ભાટીયાના મકાનમાં ખાતર પાડતા તસ્કરો: દાગીના સહિતના મુદ્દામાલની ચોરી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રામેશ્વર સોસાયટી વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ ભોગાત ગામના રહીશ મશરીભાઈ આલાભાઈ આંબલીયા નામના 37 વર્ષીય યુવાનના રહેણાક મકાનમાં ગત તારીખ 16 એપ્રિલના રોજ સાંજે છ વાગ્યાથી 17 એપ્રિલના સવારે ચારેક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તસ્કરો ખાબક્યા હતા.

આ મકાનમાં પ્રવેશ કરી, તસ્કરોએ રૂપિયા 25 હજારની કિંમતનું ટીવી, ઘરના રાખવામાં આવેલી કબાટની તિજોરીમાંથી રૂપિયા 14 હજાર રોકડા તેમજ રૂપિયા 12,500ની કિંમતના સોના ચાંદીના દાગીના ઉપરાંત રૂપિયા 600 ની કિંમતના ત્રણ નંગ સ્પ્રે પણ ઉઠાવીને લઈ ગયા હતા.

આમ, કુલ રૂપિયા 52,100ના મુદ્દામાલની ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસે મશરીભાઈ આંબલીયાની ફરિયાદ પરથી ધોરણસર ગુનો, નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.