જામનગરના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ લાલવાડીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : જામનગરના લાલવાડી મિત્ર મંડળ દ્વારા જાણીતા ધાર્મિક સ્થળ લાલવાડી ખાતે શુક્રવાર તારીખ 22 થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. જાણીતા શાસ્ત્રી શ્રી સુરેશભાઈ ત્રિવેદી (વિભાપર વાળા) આ ભાગવત સપ્તાહમાં વ્યાસાસને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.

આ પ્રસંગે આજરોજ શનિવારે કપિલ જન્મ, આવતીકાલે રવિવારે નૃસિંહ જન્મ, સોમવારે વામન જન્મ, મંગળવારે શ્રીરામ જન્મ તથા કૃષ્ણ જન્મોત્સવ તથા તા. 27 મી ના રોજ કૃષ્ણ વિવાહ, 28 મી ના રોજ રૂક્ષ્મણી વિવાહ તથા તારીખ 29 મેના રોજ અંતિમ દિવસે સુદામા ચરિત્રના પ્રસંગો યોજવામાં આવશે.

આગામી તારીખ 29 એપ્રિલ સુધી દરરોજ સવારે 9:30 થી 12:30 તથા બપોરે 3:30 થી 6:30 કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.