સુરજકરાડીની સરસ્વતી પ્રાથમિક શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના સુરજકરાડી ગામની સરસ્વતી પ્રાથમિક શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામની સરસ્વતી પ્રાથમિક શાળામાં તારીખ ૨૮-૪-૨૦૨૨ ના રોજ ધોરણ ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદ્યાની દેવી સરસ્વતી માતાની પ્રાર્થના કરી આ પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી.

જેમાં ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા તેઓને ઉપયોગી થાય તેવી સ્મૃતિ ભેટ આપવામાં આવેલ તથા ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા શાળા સાથેના મધુર સંસ્મરણો વક્તવ્ય દ્વારા વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા ભરતભાઈ ત્રિવેદી પધારેલ હતા. તેમના દ્વારા પણ આ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

શાળાના પ્રધાનાચાર્ય રેખાબેન પંડ્યા દ્વારા આજના પ્રસંગે વિદ્યાર્થીઓને ભાવભરી વિદાય આપી હતી અને ઉચ્ચ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સહીત શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.