સુરેન્દ્રનગરના યુવક-યુવતીનો દ્વારકામાં આવી આપઘાત

ગોમતી ઘાટ નજીક બંનેના કોહવાયેલ મૃતદેહો મળ્યા

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં ગોમતી ઘાટ નજીક સુરેન્દ્રનગરના યુવક-યુવતીના કોહવાયેલ મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે. બંનેએ સુરેન્દ્રનગરથી દ્વારકા આવી ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

દ્વારકામાં ગોમતી ઘાટ નજીક બાવળની જાળીમાંથી યુવક-યુવતીના કોહવાયેલ મૃતદેહો મળ્યા હતા. મૃતક યુવક-યુવતી સુરેન્દ્રનગરના ધજાલા પોલીસ સ્ટેશન વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. 32 વર્ષીય યુવતી અને 30 વર્ષીય યુવકના મૃતદેહને જામનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે. તેમજ યુવક-યુવતીના પરિવારજનોને પણ જામનગર ખાતે બોલાવાયા છે. હાલમાં દ્વારકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મૃતક યુવકનું નામ ડાયા વશરામ મેમકીયા અને યુવતીનું નામ રેખા બાબુ સાગરિયા હોવાનું અને બંને છેલ્લા ઘણા દિવસોથી ગુમ રહ્યા બાદ દ્વારકા આવી ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. બંનેના મૃતદેહોને જામનગર લઈ જવાયા છે. બંનેની ગુમ થયાની અરજી સુરેન્દ્રનગરના ધજાલા પોલીસ વિસ્તારમાં નોંધાય હતી. હાલ દ્વારકા પોલીસ વિભાગના પી.એસ.આઈ. બિપિન જોગલ તથા ભાવેશભાઈ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે.