દ્વારકા જીલ્લાના ખરીફ પાકોના વાવેતરના બિયારણની ખરીદી કાળજી રાખીને કરવી

નાયબ ખેતી નિયામકની ખેડૂતોને અપીલ

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું.

બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ? તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા નાયબ ખેતી નિયામક વિસ્તરણ, જિલ્‍લા સેવા સદન ખાતે આવેલ કચેરીના ફોન નંબર ૦૨૮૩૩-૨૩૬૦૧૮૯ પર તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ, થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે. તેમ નાયબ ખેતી નિયામક (વિસ્‍તરણ) દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.